દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ આ પછી દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે 6.55 વાગ્યે ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ના પાર્કિંગમાં પાર્ક કરેલી ઇકો કારમાં વિસ્ફોટ થયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે નજીકમાં પાર્ક કરેલી 3 વધુ કાર સળગી ગઈ હતી.
ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. NIA અને NSGને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એ.કે. મલિકે જણાવ્યું, “અમને માહિતી મળી હતી કે ચાંદની ચોક મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો છે. અમે તાત્કાલિક સાત ટુકડીઓ ઘટનાસ્થળે મોકલી હતી. સાંજે 7:29 વાગ્યા સુધીમાં આગ કાબુમાં આવી ગઈ હતી. જાનહાનિની આશંકા છે. અમારી બધી ટીમો ઘટનાસ્થળે હાજર છે.”
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટ બાદ ઉત્તર પ્રદેશને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ANI સાથે વાત કરતા, ઉત્તર પ્રદેશના ADG (કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશે જણાવ્યું હતું કે પોલીસ મહાનિર્દેશકે રાજ્યના તમામ વરિષ્ઠ અધિકારીઓને સંવેદનશીલ ધાર્મિક સ્થળો, સંવેદનશીલ જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે. બધી સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. લખનઉથી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
લોક નાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે ANIને જણાવ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા 15 લોકોને લોક નાયક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમાંથી આઠ લોકોના હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયા હતા. ત્રણ ગંભીર રીતે ઘાયલ છે. એકની હાલત સ્થિર છે.


