ઉત્તરાખંડના દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી જોવા મળી છે. આ કુદરતી આફતને કારણે પહાડો પરથી માટી ધસી પડતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના પરિણામે 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અટવાયા છે.
માટી ધસી પડવાને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે. આ માહિતી ત્યાં અટવાયેલા ગુજરાતના એક પ્રવાસી, મૌલિક જાનીએ આપી છે. તેમણે જણાવ્યું કે, પ્રવાસીઓને કોઈ મદદ મળી રહી નથી અને લોકો જીવ બચાવવા માટે પોતાનો સામાન લઈને રસ્તા પર ચાલી રહ્યા છે. રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. માટી ધસી પડવાને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ છે. જે પ્રવાસીઓએ ટેક્સી બુક કરાવી હતી તેમને પણ રસ્તામાં જ અટકાવી દેવાયા છે.
લોકોને 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડી રહ્યું છે. રસ્તા પર ઠેર ઠેર માટી અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો JCBની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ સમય લાગશે તેવું જણાઈ રહ્યું છે. પ્રવાસીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

