24 જુલાઈ, 2025ની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ‘રીબડા પેટ્રોલિયમ’ પર બે અજાણ્યા બુકાનીધારી શખસે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 11 ઓગસ્ટના રોજ કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીથી ઝડપી લીધો હતો. હાર્દિકસિંહ જાડેજાને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. તેમજ તેને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. તેની વિરુધ્ધ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો હતો. જેથી તેને રાંદેર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. આ પછી તેને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે.
અનિરુદ્ધસિંહના પેટ્રોલપંપ પર ફાયરિંગની ઘટના બાદ પોલીસને પડકાર ફેંકતો હોય તેમ હાર્દિકસિંહે સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરી પોતે જ ફાયરિંગ કરાવ્યાનું જણાવ્યું હતું. આ પછી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જેને પકડવા રાજકોટ ગ્રામ્ય પોલીસની ચાર ટીમ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આરોપીને ઝડપી પાડવા દોડતી થઈ હતી. આરોપી અગાઉ MP અને UP સહીતના વિસ્તારોમાં નાસતો ફરતો હોવાની બાતમી મળી હતી.
ત્યાર બાદ હાર્દિકસિંહ મદુરાઈ ખાતે એક બારમા બેઠો હોવાની ચોક્કસ બાતમી હતી. જો કે અહીં પોલીસ પહોંચે તે પહેલા તે નાસી છૂટ્યો હતો અને પછી કેરળ પહોંચ્યો હતો. આ અંગેની પાક્કી બાતમી મળતા SMC બે ટીમ કેરળ ખાતે તપાસમાં પહોંચી હતી અને કોચીના થોપડી, કોચુપલ્લી રોડ ઉપર આવેલી સ્વામી હોટલ આગળથી અટકાયત કરી ગુજરાત લાવવામાં આવ્યો. બાદમાં સુરતના રાંદેર પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. હાર્દિકસિંહ સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ, ગુનાહિત ધમકી, ખૂન કરવા માટે અપહરણ સહિતની કલમ હેઠળ 29/11/2024ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ગુનામાં તે નાસતો ફરતો હોવાથી કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
હાર્દિકસિંહ વિરુદ્ધ 12 ગુના. આરોપી પેરોલ જમ્પ કર્યા પછી કઈ કઈ જગ્યાએ રોકાયો હતો તેમજ તેને કોના દ્વારા મદદ કરવામાં આવી હતી સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. હાર્દિકસિંહ વિરૂધ્ધ ખૂન, ખૂનની કોશિષ, છેતરપિંડી, અપહરણ, લૂંટ, મારામારી તથા પ્રોહીબિશન સહીત 12 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે પૈકી રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના પેરોલ મેળવ્યા હતા, 1.09.2024થી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી પેરોલ જમ્પ થઈ, ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ઉપરોક્ત ખૂન કરવાના ઈરાદે ફાયરિંગ કરવાના ગુનાને તેમજ રાંદેર પો.સ્ટે.માં લૂંટ, ગુનાહિત ધમકી, ખૂન કરવા માટે અપહરણ ગુનાઓને અંજામ આપ્યો હતો.
1 ઓગસ્ટના રોજ રાજકોટ રૂરલ LCBની ટીમે બે સગાભાઈ સહિત ફાયરિંગ કરનારી 4 વ્યક્તિને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડી હતી. જેમાં ઇરફાન ઉર્ફે સીપા મોહમ્મદ રઇસ કુરેશી (ઉં.વ.32), અભિષેક કુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉં.વ.28), પ્રાન્સુકુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉં.વ.29) અને વિપિનકુમાર વિરેન્દ્રસિંહ જાટ(ઉં.વ.26)નો સમાવેશ થાય છે. ઇરફાન પર અમદાવાદમાં 4 પાસા સહિત 27 ગુના નોંધાયેલા છે.
આ 4 આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપી હતી. આ શખસોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. વિપિન કુમાર જાટને 5 લાખમાં સોપારી આપી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને શખસ બસ અને ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. જ્યારે ફાયરિંગ કરાવનાર આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા ફરાર હતો.

