જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાથી ત્રણ લોકોનાં મોત થયા હતા. વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. પર્વત પરથી કાટમાળ ગામ તરફ આવ્યો, જે ઘણા ઘરમાં જતો રહ્યો છે, હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.
બીજી તરફ, રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. સેંકડો વાહનો ફસાયેલા છે. કિશ્તવાર-પદ્દર રસ્તો પણ બંધ છે. અહીં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હવામાન સાફ થયા પછી જ અધિકારીઓએ હાઇવે પર મુસાફરી કરવાની અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં, પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયો છે ત્રણ-ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણપણે દટાયેલા જોવા મળે છે. આ ઉપરાંત, હોટલ અને ઘરો પણ કાટમાળથી પ્રભાવિત થયા હોય તેવું લાગે છે.

