મોરબી પાલિકામાં હાઉસ ટેક્સ ઉઘરાવવા માટે પાલિકાની ઓનલાઈન સર્વર અપડેટ ન થવાના કારણે ૧૫ દિવસથી આ કામગીરી ખોરંભે ચઢી ગઈ હતી. અને જેના કારણે પાલિકા કચેરી ખાતે વેરો ભરવા આવતા લોકોને ધક્કા થઈ રહ્યા હતા. આસામીઓને પડી રહેલી મુશ્કેલીને ધ્યાને લઇ અંતે પાલિકાની ટીમ તેમની ટેકસ કલેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર અપડેટ માટે ગાંધીનગર પહોંચી હતી અને સોફ્ટવેર અપડેટ થયા બાદ આજથી નવા વર્ષનો એડવાન્સ ટેક્સ વસૂલવાની કામગિરી શરૂ કરી હતી અને પ્રથમ દિવસે ૧૭૨ આસામીઓ પોતાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો.પ્રથમ દિવસે પાલિકાને રૂ.૫.૪૦ લાખની હાઉસ ટેકસની આવક થઈ હતી.
મોરબી પાલિકામાં નાણાકિય વર્ષ૨૦૨૨-૨૩ દરમિયાન બાકી વેરા ઉઘરવવા પાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આપેલ વેરા માફી યોજનાના કારણે પાલિકાને આવક થઈ હતી.અને ૩૧ માર્ચ સુધીમાં મોરબી પાલિકાને ૨૯.૮૦ કરોડની ડિમાન્ડ સામે ૧૬.૫૭ કરોડ જેટલી આવક થઈ હતી અને તેમાંથી ૬.૫૩ કરોડ જેટલી આવક માત્ર દોઢ મહિનામાં થઈ હતી.
જોકે નાણાકીય વર્ષમાં ફેરફાર થયા બાદ મોરબી નગરપાલિકા કચેરીના હાઉસ ટેકસ વિભાગની ટેકસ કલેક્શનની કામગીરી પર બ્રેક લાગી ગઈ હતી .અને આ ઓનલાઈન સિસ્ટમ અપગ્રેડ ન થવાના કારણે છેલ્લા ૧૫ દિવસથી હાઉસ ટેકસ કલેક્શન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. તેના કારણે વેરો ભરવા આવતા આસામીઓને ધક્કા થઈ રહ્યા હતા.આ બાબતે પાલિકા કર્મચારીઓ દ્વારા સિસ્ટમ અપગ્રેડ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી જોકે ત્યાંથી. આ સિસ્ટમ અપગ્રેડ કરવા પ્રયાસો કરવા છતાં સિસ્ટમ અપગ્રેડ થઈ શકી ન હતી અંતે મોરબી પાલિકાના હાઉસ ટેકસ વિભાગની ટીમ સિસ્ટમ અપડેટ માટે ગાંધીનગર ખાતે પહોંચી હતી અને જરૂરી પ્રકિયા પૂર્ણ કરી સોમવાર થી વેરો ઉઘરાવવાની કામગીરી શરૂ કરી હતી. નાણાકીય વર્ષ શરૂ થયાના ૧૫ દિવસ સુધી વેરા વસૂલાત બંધ રહ્યા બાદ પ્રથમ દિવસે આસામીઓ પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં અને ૧૭૫ આસામીઓ દ્વારા કુલ રૂ.૫.૪૦ લાખનો વેરો ભર્યો હતો.
છેલ્લા ૧૫ દિવસ સુધી વેરા વસૂલાત કામગીરી બંધ રહેવાના કારણે એક તરફ પાલિકાને આવકમાં ગાબડું પડ્યું હતું તો બીજી તરફ અરજદારોને પણ ધક્કા થતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે ફરી એકવાર હાઉસ ટેકસ કલેક્શન કામગીરી શરૂ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
મોરબી પાલિકા વિસ્તારમાં નોંધાયેલ આસામીઓ હવેથી પોતાનો એડવાન્સ ટેક્સ ભરી શકશે પાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરનાર આસામીઓને ૧૦ ટકા ડીસ્કાઉન્ટ આપશે સિસ્ટમ અપગ્રેડ પ્રોસેસિંગના કારણે આ કામગીરી બંધ હતી હવેથી આસામીઓ કોઈ પણ પ્રકારની મૂશ્કેલી વિના જ પોતાનો વેરો ભરપાઈ કરી શકશે તેમ હાઉસ ટેકસ વિભાગના શાખા અધિકારી દલસુખભાઈ એ જણાવ્યુ હતુ.

