રામનવમીના સપરમાં દિવસે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી.મળતી માહિતી મુજબ ઇન્દોરમાં આવેલ બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. જેમાં મહિલા, પુરૂષ અને બાળકો પણ સામેલ છે. 18 લોકોમાં વાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. 5 લોકોના મોત થયા છે. હજી પણ 2 લોકો ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સ્નેહનગર પાસે પટેલનગરમાં મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો પગથિયાંની છત પર બેઠા હતા. દરમિયાન છત અંદર પડી ગઈ હતી. કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ સહિત તમામ MIC સભ્યો મિટિંગ છોડીને સ્થળ પર પહોંચી રહ્યા છે. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે. કન્યા પૂજનનો કાર્યક્રમ હતો એટલે મંદિરમાં ભક્તોની ભીડ વધુ હતી.આ દુર્ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર આ ઘટના હવન દરમિયાન બની હતી. વાવની છત પર 25 થી વધુ લોકો બેઠા હતા. જેથી વધુ પડતા વજનને કારણે તેની છત તૂટી ગઈ અને લોકો નીચે પડી ગયા હતા.
એવી વાત પણ સામે આવી રહી છે કે મંદિર પરિસરમાં બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે. મંદિર પરિસરમાં ચાલતા બાંધકામના કારણે કુવાની દીવાલ નબળી પડી જતા છત તૂટી જવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

