હરિયાણા ભાજપની નેતા સોનાલી ફોગાટના મોત મામલામાં સીબીઆઈએ કેસ દાખલ કરી લીધો છે. આ કેસના સિલસિલામાં સીબીઆઈની ટીમ કાલે ગોવા જશે. સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ સીબીઆઈને આપવા માટે ગોવા સરકારે ભલામણ કરી હતી. ત્યારબાદ સોમવારે ગૃહ મંત્રાલયે ડીઓપીટી મંત્રાલયને આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો પત્ર લખ્યો હતો.
મંજૂરી મળી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે કેન્દ્રીય તપાસ એજન્સીને સોનાલી ફોગાટ હત્યાકાંડની તપાસ માટે પોતાની મંજૂરી આપી હતી. સોનાલી ફોગાટને ગોવા પહોંચ્યાના એક દિવસ બાદ 23 ઓગસ્ટે એક હોસ્પિટલમાં મૃત સ્થિતિમાં લાવવામાં આવી હતી. આ ઘટના બાદ ગોવા પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.
ફરી થાશે તપાસ: સોનાલી ફોગાટની બહેન રૂકેશે સીબીઆઈ તપાસની માંગ પુનરાવર્તિત કરતા પોતાની બહેનના શંકાસ્પદ મોતમાં રાજકીય એંગલ હોવાની શંકા વ્યક્ત કરી હતી. એએનઆઈ સાથે વાત કરતા રૂકેશે કહ્યું હતું કે, સત્ય સીબીઆઈ તપાસ બાદ સામે આવશે. અમને ગોવા પોલીસની તપાસથી સંતોષ નથી. ગોવા પોલીસ સંપત્તિના એંગલથી કેસની તપાસ કરી રહી છે. ત્યાં હત્યા પાછળ મોટા લોકો હોઈ શકે છે. રાજકીય આધાર પર સોનાલીની હત્યા થઈ હોવાની શક્યતાની પણ તપાસ થવી જોઈએ.

