સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રેલવે અને બેંકોને ગયા વર્ષે તેમના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ કેટેગરીના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કુલ 109214 ફરિયાદો મળી છે. તેમાંથી સૌથી વધુ 37670 ફરિયાદો ગૃહ મંત્રાલય (MHA)ના કર્મચારીઓ સામે મળી હતી. રેલવે કર્મચારીઓ સામે 11,003 અને બેંક કર્મચારીઓ વિરુદ્ધ 6,330 ફરિયાદો મળી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલયના કર્મચારીઓ વિરુદ્ધ મળેલી ફરિયાદોમાંથી 15,267નો નિકાલ કરવામાં આવ્યો છે અને 22,403 પેન્ડિંગ છે. જેમાં ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ 19,118 ફરિયાદોનો સમાવેશ થાય છે. સીવીસીએ દરેક ફરિયાદની તપાસ કરવા અને તાર્કિક નિષ્કર્ષ પર આવવા માટે સંસ્થાઓ માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે.

