કાશ્મીરમાં ઘણા સમયથી ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ ફેલાયો છે અને થોડા સમયથી કાશ્મીરી હિંદુઓની ટાર્ગેટ બનાવીને હત્યા થતા તેના પર ઘણી રાજનીતિ પણ થઈ છે. મોટાભાગના પક્ષો આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા જોવા મળી રહ્યા છે ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ એક કાશ્મીરી હિંદુની ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટનાને લઈને કાશ્મીરી હિંદુઓ દ્વારા સરકારને સુરક્ષા માટે અપીલ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જીલ્લાના ચોટીપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતક અને ઘાયલ બંને હિન્દુ છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે, મૃતક અને ઘાયલ બંને ભાઈઓ છે જેમાં મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ છે, જ્યારે તેના ભાઈનું નામ પિન્ટુ કુમાર છે. રિપોર્ટ અનુસાર, આતંકીઓએ વ્યક્તિનું નામ પૂછ્યા બાદ તેને ગોળી મારી દીધી હતી એટલે કે આના પરથી સ્પષ્ટ થાય છે કે આ હત્યા કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવા માટે કરવામાં આવી છે.

