શાળાના બાળકો નાની ઉંમરમાં જ ગણિત વિજ્ઞાનના વિષય પ્રયોગો થકી શીખે તે માટે લેબોરેટરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નજીક શનાળા ગામ ખાતે આવેલી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયમાંઅટલ ટીકરીંગ લેબ – અધ્યતન વિજ્ઞાન લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત , ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, ભારતરત્ન અટલ બિહારી બાજપાઈના નામ સાથે જોડાયેલી આ અટલ ટીકરીંગ લેબનું શુભારંભ કરતા હું ગર્વ અનુભવું છું. આ લેબ થકી વિદ્યાર્થીઓને અધ્યતન સુવિધાઓ મળશે. શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે નવી નવી શોધખોળ કરી શકશે તેમજ આધુનિક ભારતના ઘડતરમાં નૂતન ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલી શકશે.
ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી શિક્ષણનીતિમાં આવી અટલ ટીકરીંગ લેબ માઇલસ્ટોન સાબિત થશે. સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય દ્વારા જ્ઞાનની ગંગોત્રી વહાવવામાં આવે છે તેમાં આ અટલ ટીકરીંગ લેબ થકી નવું શિર મોર ઉમેરાયું છે.કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતના યુવાધનને સ્કિલબદ્ધ બનાવવા માટે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ડિપ્લોમા સહિત વિવિધ નવા અદ્યતન તેમજ તકનીકી ક્ષેત્રના નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. ભારતની નવી ડ્રોન ટેકનોલોજી ના પ્રોજેક્ટ માટે પણ ફક્ત કૌશલ્ય યુનિવર્સિટીને જ પસંદ કરવામાં આવી છે જેથી અનેક નવી રોજગારીનું સર્જન પણ થશે.આ તકે મંત્રીએ અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાવ્યો હતો. અટલ ટીકરીંગ લેબની જાત મુલાકાત લઈ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ પાર્થભાઈ ભાવસારે લેબમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ તેમજ તેનાથી વિદ્યાર્થીઓને થનાર ફાયદાઓ વિશે મંત્રીને વિગતે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ બાબુભાઈ અઘારા, સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

