સોનાના ઉંચા ભાવ વચ્ચે દેશમાં દાણચોરીનું દુષણ પણ વધી રહ્યું છે અને તેમાં 85 ટકા જેવો મોટો વધારો થયો હોવાનું બહાર આવ્યું છે. સંસદમાં નાણા મંત્રાલય દ્વારા પેશ કરવામાં આવેલા આંકડાકીય રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 2021માં સોનાની દાણચોરીના 73 કેસ નોંધાયા હતા તેની સરખામણીએ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં જ 69 કેસ નોંધાયા છે.
હાજર માર્કેટમાં સ્થિતિ: હાજર માર્કેટમાં સોનાના ભાવ 53,000ની સપાટીને કૂદાવી ગયો છે હવે આવતા ત્રણ મહિના તહેવારોના હશે અને તેમાં સોનાની ડીમાન્ડ ઘણી વધી જવાની શક્યતા વચ્ચે સોનાની દાણચોરીના વધતા કેસને સૂચક ગણવામાં આવી રહ્યા છે.

શું કહે છે એક્સપર્ટ: ઇન્ડીયા બુલીયન એન્ડ જ્વેલર એસોસિએસનના ડાયરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તાજેતરમાં સોનાની આયાત જકાત વધારીને 12.50 ટકા કરી નાખી હતી. ઇફેક્ટીવ ટેક્સ 15 ટકાથી વધી ગયો છે. આ સંજોગોમાં દાણચોરીથી સોનુ ઘુસાડવામાં મોટો નફો થતો હોવાથી ગેરકાયદે ચેનલ મારફત સોનાની દાણચોરીમાં વધારો થયાનું માની શકાય છે.

