ગુજરાતમાં લઠ્ઠાકાંડની બનેલી ઘટનાથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે, આક્રોશ ઠાલવ્યો હતો કે આજની પરિસ્થિતિ અને ઘટનાથી ગુજરાતી પ્રજાએ બોધપાઠ લેવો જોઈએ. એટલું જ નહીં આવી ઘટના પ્રથમ વખત ગુજરાતમાં નથી બની. ગાંધીજીના નામે ધતિંગ વાળી નશાબંધીની નીતિ ગુજરાત કેમ છોડી શકતું નથી ?
વાત કેટલી વ્યાજબી: નશાબંધીના નાટકમાંથી લોકો બહાર આવે તેની ચિંતા પ્રજાએ કરવી જોઈએ. આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની સરકારના વર્તમાન મહિલા મંત્રી નિમિષાબેન સુથાર ની મુલાકાત દરમિયાન સ્થાનિક જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખે નશો કરીને જે કૃત્ય કર્યું હતું તે ઘટનાનો ઉલ્લેખ કરીને શંકરસિંહ વાઘેલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે દારૂ પીને પોતાના જ મહિલા મંત્રી ની પીઠ પાછળ હાથ ફેરવવાની ઘટનામાં ભાજપ ફક્ત રાજીનામું લઈને સંતોષમાને તે વાત કેટલી વાજબી છે?

ખાડે ગઈ વ્યવસ્થા: ગુજરાત પોલીસ દારૂબંધીના નામે પીનાર અને દારૂ લઈ જનારને પકડે પરંતુ જિલ્લા પંચાયતનો પ્રમુખ દારૂ પીધેલો જોવા મળે અને મિનિસ્ટર બહેનની પીઠ પાછળ હાથ ફેરવે ત્યારે આવી ઘટનાથી ભાજપને શરમ આવવી જોઈએ. શંકરસિંહ વાઘેલાએ કાયદો વ્યવસ્થા અંગે કહ્યું કે આજે ગુજરાતની કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે પોલીસ તંત્ર સરકારની મહેરબાની ઉપર ચાલતું હોય તેમ લાગે છે.

