નવી દિલ્હી: એરલાઈન કંપનીઓ હવેથી એરપોર્ટના ચેક-ઈન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ ઈશ્યુ કરવા માટે મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ લઈ શકશે નહીં. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને ગોફર્સ્ટ જેવી એરલાઈન્સ ચેક-ઈન કાઉન્ટર પર બોર્ડિંગ પાસની માંગણી કરતા મુસાફરો પાસેથી રૂ. 200 વસૂલતી હતી.
મંત્રાલયે ટ્વીટ કર્યું, “નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે એરલાઇન્સ મુસાફરોને બોર્ડિંગ પાસ આપવા માટે વધારાના ચાર્જ વસૂલ કરી રહી છે.” મંત્રાલયે કહ્યું કે ઉડ્ડયન નિયમો, 1937ની જોગવાઈઓ અનુસાર જારી કરાયેલા નિર્દેશો હેઠળ આ વાજબી નથી. તદનુસાર, એરલાઇન્સને સલાહ આપવામાં આવે છે કે એરપોર્ટ ચેક-ઇન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ આપવા માટે મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ ન લે, મંત્રાલયે જણાવ્યું હતું.
It has come to the notice of MoCA that airlines are charging additional amount for issuing boarding passes from the passengers. This aditional amount is not in accordance with the instructions given in the aforesaid order or as per extant provisions of Aircraft Rules, 1937. pic.twitter.com/nf3IC5uOQJ
— MoCA_GoI (@MoCA_GoI) July 21, 2022
મંત્રાલયે 21 મે, 2020 ના રોજ મુસાફરો માટે વેબ ચેક-ઇન ફરજિયાત બનાવ્યું હતું. તે સમયે મુસાફરોએ પોતાનો બોર્ડિંગ પાસ કાઢવો પડ્યો હતો. આ પછી, મંત્રાલયે 9 મે, 2021 ના રોજ જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે એરલાઇન્સે મુસાફરોને સમયસર વેબ ચેક-ઇનને પ્રોત્સાહિત કરવું જોઈએ અને જે મુસાફરો વેબ ચેક-ઇન નથી કરતા તેમની પાસેથી કોઈપણ પ્રકારની ફી વસૂલવાનું ટાળવું જોઈએ. મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે એરલાઇન્સ દ્વારા બોર્ડિંગ પાસ જારી કરવા માટેના વધારાના શુલ્ક 9 મેના આદેશને અનુરૂપ નથી.

