જાણીતી હોટલ-રેસ્ટોરાંમાં પીરસાતુ સારૂ- સ્વાદિષ્ટ ભોજન આરોગ્યપ્રદ જ હોવાની માન્યતા ભુલ ભરેલી છે. ગ્રેવી તથા તેલમાં તળેલા ભોજન સ્વાદિષ્ટ લાગે. પરંતુ આરોગ્યની દ્દષ્ટિએ કદાચ યોગ્ય ન હોય પરંતુ હવે 1લી જુલાઈથી તેમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. રેસ્ટોરાં-કાફેમાં અપાતા ભોજનમાં કેટલી કેલેરી છે તે દર્શાવવાનું ફરજીયાત બની રહ્યું છે.
ફરજિયાતનો નિયમ: હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે ફુડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા તમામ સ્ટાર હોટલ, રેસ્ટોરાં-કાફે ચેઈન માટે મેનૂની દરેક ખાદ્યચીજમાં કેલેરીની માત્રા દર્શાવવાનું ફરજીયાત બનાવવામાં આવી રહ્યું છે.
યોજાયો ખાસ વર્કશોપ: ફુડ નિયમનકાર દ્વારા ‘મેનુ લેબલીંગ’ માર્ગદર્શિકા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં આ માટે ખાસ વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો અને તેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેનુ કાર્ડમાં પ્લેટમાં પીરસાનારી ખાદ્યચીજનું વજન, ભાવની સાથે તેની કેલેરી માત્રા પણ દર્શાવવાની રહેશે..

આવતા મહિનાથી અમલી: ફુડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટીના આસીસ્ટંટ ડાયરેકટર (ટેકનીકલ) સુકન્યા પોન્ડુગાલાએ કહ્યું કે 1લી જુલાઈથી દેશભરમાં ‘મેનુ લેબલીંગ’ કાયદો અમલમાં આવી રહ્યો છે. પ્રથમ તબકકે સ્ટાર હોટલ તથા રેસ્ટોરાં-કાફે ચેઈનમાં લાગુ પડશે. 10થી વધુ ચેઈન રેસ્ટોરાં હોય તેનો અમલ કરવો પડશે.
ફરિયાદ કરી શકાશે: હોટલ-રેસ્ટોરાં નિયમોનો અમલ ન કરે તો ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકે છે અને તેના આધારે પેનલ્ટી જેવી જોગવાઈઓ છે. નિયમ લાગુ પડી શકે તેવી સેંકડો હોટલ તથા હજારો રેસ્ટોરાં કાફે છે તેમાં ખાસ કરીને યુવા વર્ગ આડેધડ ખાદ્યચીજો આરોગતો હોય છે. સ્ટાર હોટલ સંચાલકોએ કહ્યું કે આરોગ્યપ્રદ ભોજન સારી વાત છે. પરંતુ મુખ્ય ચિંતા ‘શેફ’ની છે.

ભોજન બનાવનારા અલગ-અલગ હોય છે. તેઓ કેલેરીની માત્રા જાળવી શકે કે કેમ તે સવાલ છે. 25 ટકા ફેરફારની છુટ્ટ આપવામાં આવી હોવાથી વાંધો નહીં આવે પરંતુ મોટી ચિંતા અધિકૃત વેપારીઓ પાસેથી જ ખરીદી કરવાના નિયમની છે તેનો અમલ મુશ્કેલ છે અને તેનાથી પડતર ખર્ચ વધી શકે તેમ છે. કારણ કે ઘણા કિસ્સામાં ખેડૂતો કે હોલસેલ વેપારીઓ પાસેથી જ સીધી ખરીદી થતી હોય છે.

