બે જુદા-જુદા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. અથડામણ સ્થળેથી સુરક્ષા દળોને વાંધાજનક સામગ્રી, હથિયાર અને વિસ્ફોટકો પણ મળ્યા હતા.
કાશ્મીર પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે કુપવાડામાં વધુ બે આતંકવાદીનો સફાયો થયો હતો. અત્યાર સુધીમાં ચાર ત્રાસવાદીઓનો ઠાર મારવામાં આવ્યા છે અને હથિયારો તથા વિસ્ફોટકો કબજે લેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં હજુ મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. શૌકત અહેમદ શેખ નામના એક ત્રાસવાદીની ધરપકડ પણ કરવામાં આવી છે. તેની બાતમીના આધારે જ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઠાર કરાયેલા ત્રાસવાદીઓને શરણે આવવાની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેઓએ સુરક્ષા દળો પર ફાયરીંગ કરતાં વળતા પ્રહારમાં તમામને ઠાર મારી દેવામાં આવ્યા હતા.

એક આતંકવાદી લશ્કર-એ-તોયબાનો પાકિસ્તાની નાગરિક હોવાનું પણ બહાર આવ્યું છે. આ સિવાય કુલગામમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. બંને કાશ્મીરના જ રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ઉત્તરીય કાશ્મીરમાંથી અલબદ્ર સંગઠન સાથે જોડાયેલા ત્રણ ત્રાસવાદીઓની ધરપકડ કરીને મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. તેની પાસેથી પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યા હતા.

