ભારત દ્વારા ઘઉંની મોટાપાયે નિકાસ કરાયા બાદ ઘરઆંગણે જ સપ્લાયનું સંકટ સર્જાવાના એંધાણ વર્તાતા સરકારે તાત્કાલીક અસરથી નિકાસબંધી લાદી દીધી હોવા છતાં ચાલુ વર્ષે ભારતનો ઘઉંનો બફરસ્ટોક છેલ્લા પાંચ વર્ષના તળિયે રહેવાની શક્યતા છે. છેલ્લા 13 વર્ષમાં બીજી વખત ઘઉંનો સરકારી સ્ટોક તળિયે પહોંચવાની ભીતિ છે. એટલું જ નહીં અનાજની ખરીદી પણ છેલ્લા 15 વર્ષોમાં સૌથી ઓછી રહેવાનું મનાય છે.
ઉત્પાદનમાં કાપ અને ઘઉંની સિઝનની શરુઆતમાં જ જંગી માત્રામાં નિકાસ થઇ જવાને કારણે ઘરઆંગણે મુશ્કેલી સર્જાવાની હાલત ઉભી થઇ છે અને આ હકીકતને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે નિકાસબંધી લાગુ કરી દીધી છે. કૃષિ નિષ્ણાંત રમણસિંહ માને જણાવ્યું હતું કે 37.5 મીલીયન ટનના સ્ટોક સામે 7.5 મીલીયન ટન કટોકટીની સ્થિતિ માટે અનામત રાખવાનો હોય છે. જાહેર વિતરણ વ્યવસ્થા માટે 2.6 કરોડ ટનની જરુરિયાત હોય છે. આ સંજોગોમાં સપ્લાય જાળવવામાં સરકારને ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

યુક્રેન વિકાસશીલ દેશોને ઘઉં પુરા પાડતું હતું પરંતુ રશિયાના આક્રમણ પછી ઘઉં મળવાનું બંધ થયું છે અને તેનાથી આફ્રિકા અને મધ્ય પૂર્વમાં અછત ઉભી થઇ છે. અનાજનું સંકટ હોવા ઉપરાંત ખાતરની પણ અછત ઉભી થઇ છે. આ સ્થિતિમાં દુનિયાના અનેક દેશો ઘઉં માટે તકલીફ ભોગવે તેમ છે. એટલે ભારતે નિકાસ ચાલુ કરવી જોઇએ.
લગભગ 105 મીલીયન ટન ઉત્પાદન અંદાજવામાં આવી રહ્યું છે. અન્ન સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું કે દેશમાં ઘઉંનો પ્રારંભીક સ્ટોક 19 મીલીયન ટન હતો જે આગલા વર્ષનાં 27.3 મીલીયન ટનથી ઓછો હતો. ગત વર્ષે 70.6 મીલીયન ટનના કુલ સ્ટોકની સરખામણીએ ચાલુ વર્ષે 37.5 મીલીયન ટન રહેવાનો અંદાજ છે.

