વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ પક્ષમાં પ્રવેશોત્સવ જોવા મળ્યો તો કોઈ પક્ષ નબળો પડી રહ્યો છે. પોરબંદર કોંગ્રેસના અધ્યક્ષે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ નાથાભાઈ ઓડેદરાએ રાજીનામું આપી દીધું છે. તેઓ ચૂંટણી લડવા માંગતા હોવાનું કારણ દર્શાવ્યું છે. પછી તેમણે રાજીનામું આપી દીધું છે. ટિકિટમાં અન્યાય થશે તો પાર્ટી પણ છોડવાની તેમણે તૈયારી દેખાડી છે.
નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ ગાઈડલાઈન્સ બહાર પાડી છે કે, જે હાલમાં પ્રમુખ હોય તો એને ટિકિટ નહીં આપવાની. પહેલા જે તે સમયે રાજીનામું આપ્યું પછી ફરી પ્રમુખ બનાવવાની તૈયારી દેખાડી. એ સમયે તે લોકોએ કંઈ કહ્યું ન હતું. પણ પછી આ ગાઈડલાઈન્સ આવી ત્યારે ખ્યાલ આવ્યો. પછી મેં રાજીનામું આપી દીધું છે. મારી તૈયારી વિધાનસભાની ચૂંટણી લડવા માટેની હતી. જો ટિકિટ આપવામાં નહીં આવે તો ઊભા રહેવાનો કોઈ પ્રશ્ન નથી. હું એક સારો કાર્યકર છું, લોકોની વચ્ચે રહું છું. સારી એવી લોકચાહના મેળવી છે. લોકો પણ પ્રેમથી અનેક કામ કરૂ છું. જો ટિકિટ નહીં આપે તો આગામી રણનીતિ જણાવીશ. પોરબંદર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષે રાજીનામું આપી દીધું છે. તેઓ ચૂંટણી લડવા માગે છે. જોકે, આવી સ્થિતિ માત્ર કોંગ્રેસમાં નથી.

આમ આદમી પાર્ટી અને ભાજપમાં પણ કેટલાક જાણીતા ચહેરા ચૂંટણી લડવા માંગે છે. જોકે, ભાજપમાંથી કોઈ નવા ચહેરા આ વખતેની ચૂંટણીમાં જોવા મળી શકે છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષમાં રીસામણા અને મનામણા શરૂ થાય છે. આ વખતે આ માહોલ કોંગ્રેસ અને ભાજપ બંનેમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમામ રાજકીય પાર્ટીઓએ હાલમાં પ્રચાર પ્લાનિંગ શરૂ કરી દીધું છે.
ભાજપમાંથી તો કેન્દ્રના મોટામાથા કહેવાતા નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો બીજી તરફ ચૂંટણી પ્રચાર માટે વ્યૂહરચનાઓ ગોઠવાઈ રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓએ ગુજરાત મુલાકાત કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કોંગ્રેસમાંથી માત્ર રઘુ શર્મા સિવાય ખાસ કોઈ ચહેરો ગુજરાતની મુલાકાતે આવતો હોય એવા કોઈ વાવડ રાજકીય લોબીમાં નથી.

