મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ ઉભી થઈ છે. અહીં એક ઉમેદવાર સામે ઉભો થયેલો સામાજિક વિરોધ હવે પક્ષના આંતરિક વિવાદ સર્જાય તેવી સ્થિતિ બની છે
મળતી વિગતો મુજબ, વોર્ડ નં. 9ના ભાજપના એક ઉમેદવાર સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષનું મૂળ ઉમેદવારના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આક્ષેપ મુજબ, પાટીદાર સમાજની દીકરી સાથે લગ્ન બાદ છૂટાછેડા ન આપવાના મામલે સમાજના ચોક્કસ વર્ગોમાં નારાજગી છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં આ મુદ્દો ચૂંટણી પ્રચાર દરમિયાન હવે જોર પકડી રહ્યો છે.આ સામાજિક વિરોધની અસર ભાજપના અન્ય ઉમેદવારો પર પણ પડવાની ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે વોર્ડ નં. 9ની પેનલના અન્ય ત્રણ ઉમેદવારોએ પોતાના પ્રચાર કાર્યાલયમાંથી વિવાદિત ઉમેદવારનો ફોટો દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, સામાજિક રોષથી બચવા અને પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે અન્ય ઉમેદવારોએ આ આંતરિક અંતર જાળવવાનું પગલું ભર્યું છે.

વોર્ડ નં. 9 એ રાજકીય રીતે અત્યંત મહત્વનો વિસ્તાર છે. અહીં પાટીદાર મતદારોનો ઝુકાવ નિર્ણાયક સાબિત થતો હોય છે. જો આ વિરોધ વકરશે તો ભાજપની આખી પેનલને તેની કિંમત ચૂકવવી પડી શકે છે તેવી શક્યતા રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
હાલમાં ભાજપ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આંતરિક સ્તરે નુકસાન નિયંત્રણ માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું માનવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે પાર્ટી આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે અને તેનો ચૂંટણી પરિણામ પર કેટલો પ્રભાવ પડે છે. હવે જોવાનું એ રહેશે કે ૨૬મી એપ્રિલે મતદાન પહેલા ભાજપ આ ‘ઘરના ઝઘડા’ અને સામાજિક વિરોધને શાંત કરવામાં સફળ રહે છે કે પછી આ વિવાદ ચૂંટણીના પરિણામોમાં નવો વળાંક લાવશે.

