આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજાનારી છે. ત્યારે સેનેટની ચૂંટણીમાં ગુનેગારોને સ્થાન નહીં આપવા માટે કુલપતિએ હુંકાર કર્યો છે. રાજ્યપાલે મંજૂર કરેલા સ્ટેચ્યુટ 187માં જણાવ્યા પ્રમાણે ગુનેગારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક પણ ચૂંટણી નહીં લડી શકે. જો કે, તેનો અમલ આગામી સેનેટની ચૂંટણીામં થાય નહીં તે માટે ભાજપ અને કોંગ્રેસના શિક્ષણવિદો ધમપછાડા કરી રહ્યાં છે. 21 સેનેટ સભ્યોએ સહી કરીને સ્ટેચ્યુટ 187 રદ કરવા માટે ખાસ સેનેટ સભા બોલાવવાની માંગ કરી હતી. તો બીજી તરફ સરકારે સ્ટેચ્યુટ 187 યથાવત રાખવા માટે સૂચના આપી દેવાઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુટ 187 ના કાયદામાં સુધારા માટે ખાસ સેનેટ બોલાવવા માટે યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ માંગ કરી હતી જો કે આ મામલે યુનિવર્સીટી દ્વારા સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું જેમાં સરકારે કહ્યું હતું કે કાયદો બરાબર છે કોઈ ફેરફાર કે સુધારાની જરૂર નથી માટે હવે ખાસ સેનેટ બોલાવવામાં નહીં આવે અને ગુનેગારોને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે 27 માર્ચના રોજ મળેલી સેનેટની સભામાં 21 જેટલા શિક્ષણવિદોએ સાથે મળી આગામી સેનેટની ચૂંટણીમાં સ્ટેચ્યુટ 187 અમલ ન થાય અને તે રદ કરવા માટે ખાસ સેનેટ બોલાવવા માંગ કરી હતી. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આ મામલે સરકાર નું સૂચન માંગવામાં આવ્યું હતું અને સરકારે સ્ટેચ્યુટ 187 માં કોઈ ફેરફાર નહીં થાય તેવું કહેતા હવે ખાસ સેનેટ બોલાવવામાં નહીં આવે અને યુનિવર્સીટીમાં આગામી કોઈ પણ ચૂંટણીમાં ગુનેગારો ચૂંટણી નહીં લડી શકે. 21 શિક્ષણવિદો છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગુનેગારોને સાથ આપવા માંગે છે. આ 21 પૈકી 2 સભ્યો કોંગ્રેસના છે જેમાં રાજદીપસિંહ જાડેજા અને લીલાભાઇ કડછાનો સમાવેશ થાય છે. બાકીના 19 સભ્યો ભાજપના છે.

