આઈપીએલની 15મી સિઝનમાં કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. દિલ્હી કેપિટલ્સના ફિઝિયોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે શનિવારે રમાનારી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેના મેચ સામે પણ પ્રશ્નો ઉઠ્યાં છે.

સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવી રહ્યા છે કે આરસીબી સામેની મેચ રદ્દ થઈ શકે છે. પરંતુ આઈપીએલે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. મળતી માહિતી પ્રમાણે દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ તેની નજીકથી નજર રાખી રહી છે. પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં, મેચ સ્થગિત પણ કરાઈ શકે છે. તેમ જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. જે બાદ બીસીસીઆઈએ આઈપીએલ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. બાદમાં યુએઈમાં બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું.

