ગુજરાત વિધાનસભામાં શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક-2022 સરકારે બહુમતીના જોરે પસાર કરાવી લીધું છે. જેની સીધી અસર રાજ્યના માલધારી સમાજને થઈ છે. નવા કાયદા અનુસાર માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ભેંસ રાખવા લાઇસન્સ લેવું પડશે. અન્યથા દંડ ભરવો પડશે. એટલું નહીં FIR પણ થશે. આ કાયદાને લઈને માલધારી સમાજમાં રોષની લાગણી છે. જેને ધ્યાને લઈને માલધારી સમાજ ગાંધીનગરમાં ધામા નાંખશે.
માલધારી સમાજની એવી માંગ છે કે, નવો કાયદો લાવે એ પહેલાં સરકાર પશુઓને રાખવા માટે વૈકલ્પિક કરે. રાજ્યનાં 2303 ગામો એવા છે જેમાં કોઈ ગૌચરની જમીન નથી. 9029 ગામે લઘુતમ કરતાં પણ ઓછું ગૌચર છે. આ મામલે અમદાવાદના કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન કાળુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, સરકારે જે કાયદો લાવ્યો છે એ મામલે આશરે પાંચ લાખ જેટલા માલધારીઓ ગાંધીનગરમાં ભેગા થશે. અમે સાધુ સંતોને સાથે રાખીને સરકાર સાથે ચર્ચા કરીશું. તાપ રીવર લિંક માટે જે રીતે આદિવાસીઓએ એકઠા થઈ વિરોધ કર્યો એમ અમે આ કાયદા અંગે વિરોધ કરીશું.

રાજકોટના માલધારી આગેવાન રણજિત મુંધવાએ જણાવ્યું કે માત્ર મહાનગરની વાત નથી રાજકોટમાં પણ આ કાયદાને લઈને માલધારી સમાજમાં રોષ છે. ગાયને લઇ રાજકોટમાં જે લોકોમાં રોષ છે, જે લોકોને ઇજા પહોંચી અને એક વ્યક્તિનું મુત્યુ થયું એ ઘટના દુઃખદ છે. રાજકોટના વિસ્તાર એવા રૈયાધારમાં બે આખલા સામસામે ઝઘડ્યા એમાં નિર્દોષનો જીવ ગયો માલધારી સમાજ એ ઘટનાનું દુઃખ વ્યક્ત કરે છે. પણ આ સમસ્યાનો નીવેડો લાવો એ માલધારી સમાજની જૂની માંગ છે. જે ઘટના હતી એમાં ગાય ન હતી. આખલા હતા. રાજકોટને સ્માર્ટસિટી અમે માલધારી સમાજ પૂરો પ્રયાસ કરીશું. પહેલા ગાય નહીં પણ આખલા પકડો. અગાઉ પણ અમે સાથ આપ્યો હતો. ઢોર પકડ પાર્ટીની મેલી મુરાદને લીધે આખલા રખડે છે કારણ કે દૂઝણી ગાય પકડવામાં જ કર્મચારીને રસ છે. હવે અમે પણ આખલા પકડવામાં સાથ આપીશું. માલધારી સમાજ ગરીબ હોવાથી દંડ ન વધારવા અમારી અપીલ છે.

નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પહેલા સિટીમાં રખડતા ઢોરને પકડો. અમને એની સામે કોઈ વાંધો નથી. પણ સરકાર આ કાયદો લાવવા માગે છે પણ પશુને રાખવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરો. આ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. તાજેતરમાં જ 25થી વધુ ગામડાંઓને કોર્પોરેશનની હદમાં ઉમેરી દેવાયા છે. એટલે હવે એ વિસ્તારમાંથી ઢોર પકવાના શરૂ થયા છે. આ સરકાર રાતોરાત કાયદો બનાવી દે છે. આ માટે પહેલા માલધારી સમાજ સાથે કરવી જોઈતી હતી. લાંભા, ગેરતપુર, પીપળજ, કમોડ, ચિલોડા સહિતના વિસ્તારો છે, જે ગામડાં છે. આ વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા કરો. અપક્ષ કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન એવા કાળુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરો અને અન્ય નગરપાલિકાઓમાં આ કાયદો લાગુ પડે છે, ત્યારે સરકારે અમને ઢોર ક્યાં રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એનિમલ હોસ્ટેલ બનાવી આપે એવી અમારી માગ છે. આ માટે સરકાર શહેરથી બહાર પાંચ કિલોમીટર દૂર જમીન આપે અને ત્યાં અમે અમારાં ઢોર રાખી અમારો પશુપાલનનો વ્યવસાય કરી શકીએ.

