દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને યાદ કરીને વતનના વીસરાયેલા વતનની વાત રજૂ કરતો કાર્યક્રમ વીરાંજલી હવે રાજકોટમાં આયોજિત થઈ રહ્યો છે. આ શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે વીરાંજલી સમિતી તરફથી વીરાંજલી નાટકનું આયોજન રાજકોટમાં થવાનું છે. જે વિષયને લઈને રાજકોટમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું હતું કે, બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી પોલિટિકલ પાર્ટીઓ શહીદોના નામે રાજકારણ કરે છે. આમ કહીને તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો છે.

આ સમિતી તરફથી શહીદોની ગાથા લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરાયો છે. તા.2 એપ્રિલના રોજ આ કાર્યક્રમ રેસકોર્ષ મેદાન પર ભજવાશે. જાણીતા શહીદોની અજાણી વાતો યુવાનો તથા લોકો સુધી પહોંચાડવા માટે ખાસ એક મલ્ટી મીડિયા શૉનું આયોજન કરાયું છે. જેમાં કલાકારોથી લઈને 150 લોકોની ટીમ સાથે આ શ્રદ્ઘાંજલી શહીદોને આપવામાં આવશે. મહાનગર અમદાવાદમાંથી આ કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. હવે ગુજરાતના દસ જુદા જુદા સ્થળોએ વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાજકોટ બાદ તા.10 એપ્રિલના રોજ કચ્છમાં આ કાર્યક્રમ રજૂ થશે. જાણીતા કલાકાર સાઈરામ દવેએ કહ્યું હતું કે, ગુજરાતનો ક્રાંતિવીર પરનો આ પહેલો મલ્ટિ મીડિયા શૉ છે. જેમાં 1857થી 1931 સુધીની ક્રાંતિગાથા છે. જેને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. ગુજરાતના દસ મોટા શહેરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. 150 જેટલા લોકો તરફથી દેશભક્તિ ફીલ કરાવાશે. જે નવી પેઢીને નવી દિશા આપશે. સ્યુસાઈડ મેન્ટાલિટીથી બહાર કાઢશે. જ્યારે ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું હતું કે, કોરોના વાયરસના કપરા કાળ દરમિયાન બે વર્ષથી આ કાર્યક્રમ લોકો સુધી ઓનલાઈન કરવામાં આવ્યો હતો. પછી તા. 23 અને 24 માર્ચના રોજ અમદાવાદથી શરૂઆત થઈ અને સારો પ્રતિસાદ મળ્યો હતો.

આમાં રાજકોટ વાસીઓને આવવા માટે આમંત્રણ આપું છું. આજના સમયમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી પોલિટિકલ પાર્ટીઓ શહીદોના નામે રાજકારણ કરે છે ત્યારે લોકો સુધી શહીદોની ગાથા પહોંચાડવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિઃશુલ્ક એન્ટ્રી પાસ આપવામાં આવશે. જોકે, વીરાંજલીની આ ટીમ આખા ગુજરાતમાં ફરવાની છે. હાલ કચ્છ અને રાજકોટના કાર્યક્રમ અંગે વિગત જાહેર કરવામાં આવી છે.

