વન રક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સમગ્ર કાવતરૂ છતું થયું હતું. મહેસાણા જિલ્લાના ઉનાવાની મીરા દાતાર સ્કૂલમાંથી વન રક્ષક પરીક્ષાનું પેપર બહાર આવ્યું હતું. આ કેસમાં પોલીસે આઠ વ્યક્તિઓની ધરપરડ કરી છે. જેને ઊંઝા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે આઠ આરોપીઓના ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને તમામ આરોપીઓને તા.1 એપ્રિલ સુધી રીમાન્ડ પર મોકલ્યા છે.
રવિવારે યોજાયેલી વન રક્ષકની પરીક્ષા દરમિયાન ઉનાવા મીરા દાતાર સ્કૂલમાંથી ચોક્કસ વિદ્યાર્થીને પાસ કરાવવા માટેનું કાવતરૂ સ્કૂલના શિક્ષક સહિતના લોકો બનાવ્યું હતું. પ્રિ પ્લાનિંગથી થયેલા આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસવડા પાર્થરાજસિંહ ગોહિલ તથા એમની ટીમે આ સમગ્ર કેસમાં તપાસ કરી છે. આ કેસમાં ઉમેદવાર રવિ મકવાણા અને કોપીકેસ કાંડનો મુખ્ય સુત્રધાર રાજુ ચૌધરી સહિત આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે સાંજે એમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ચાર દિવસના રીમાન્ડને મંજૂરી આપી છે. પોલીસ આ કેસમાં હજુ વધારે પૂછપરછ કરીને આ કેસ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની તપાસ શરૂ કરશે. કોર્ટે સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લીધી છે. હાઈસ્કૂલમાં પરીક્ષા આપી રહેલા 300 વિદ્યાર્થીઓ પૈકી બીજા કોને જવાબ મોકલવાના હતા, આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલો છે કે કેમ? આવા અનેક પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે. આ કેસમાં હજું પણ વધારે મોટા ખુલાસા થઈ શકે એમ છે. સમગ્ર કેસનો મુખ્ય આરોપી રાજુ ચૌરી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. વર્ષ 2005માં કૉલેજમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા ઝડપાયો હતો.

એની સામે આ કેસમાં ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ પહેલા હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફોડનારાની આખી ચેઈન સામે આવી હતી. જેમાં હવે 82 દિવસ બાદ ચાર્જશીટ મૂકી દેવામાં આવી છે. જોકે, દિવસે દિવસે પેપર ફૂટવાની ઘટના સામે આવ્યા બાદ ગુજરાતમાં સરકારી પરીક્ષાઓ સામે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. બીજી બાજું હજારોની સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જે આવી સ્પર્ધાત્મક પરીક્ષાન તૈયારીઓ કરી રહ્યા છે. પણ આવું થતા એનો રસ પણ ઓછો થતો જાય છે.

