મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણી અને ફરસાણની 67 દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. નવલખી રોડ, શક્તિચોક, વાવડી રોડ અને મોરબી-વાંકાનેર હાઇવે વિસ્તારની દુકાનોમાં તપાસ દરમિયાન અનેક સ્થળોએ અનહાઈજેનિક સ્થિતિ અને વાસી ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા.
નવલખી રોડ પર આવેલી પશુપતિનાથ ચાઈનીઝમાંથી વાસી નૂડલ્સ, મંચુરિયન, ભાત, ફૂગ લાગેલું કોબીજ અને ફૂડ કલર સહિતનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જેલ રોડ પર આવેલી ભગવતી ફરસાણમાંથી વાસી રસગુલ્લાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે વાવડી રોડ પર આવેલી મોમાઈ ફાસ્ટફૂડમાંથી વાસી મંચુરિયન, ભાત, લોટ, ગ્રેવી અને ફૂગ લાગેલી બ્રેડનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ શાખાએ કુલ અંદાજે 28 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તપાસ દરમિયાન ફૂડ લાઇસન્સ વિના ધંધો ચલાવતી તેમજ અનહાઈજેનિક સ્થિતિ ધરાવતી દુકાનોને નોટિસ ફટકારી નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં વધુ કડક ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવશે તેવી વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે.

