દેશમાં પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. પરિણામ પણ આવી ચૂક્યા છે. જેમાં ચાર રાજ્યમાં ભાજપ સરકાર બનાવવાની છે. પરિણામના બીજા જ દિવસથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. બે દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની-ગાંધીનગરની મુલાકાતે રોકાયા બાદ હવે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીની રેલી ગુજરાત માટે ખૂબ મોટા સંકેત માનવામાં આવે છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે, વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં આવશે. પણ હવે વડાપ્રધાન મોદીના શક્તિ પ્રદર્શન બાદ ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે એવી શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાત રાજ્યમાં ચૂંટણી વહેલી થવાને લઈ ભાજપના મોટા નેતા જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભાજપ ક્યારેય ચૂંટણી માટે કામ કરતું નથી. ચૂંટણી ક્યારે આવશે એ તો ચૂંટણીપંચનો વિષય છે. પણ ચૂંટણી સમયસર આવે એ જરૂરી છે. એટલે ચૂંટણી હોય કે ન હોય લોકોના કામ કરવા એ અમારી જવાબદારી છે. ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણીના આવા નિવેદનથી સંકેત સમજી શકાય છે. એવુ માની શકાય છે કે, ચૂંટણી સમયસર જ આવશે. ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધી ગઈ છે. જેને લઈ વિપક્ષનું નિવેદન પણ સામે આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા કહ્યું કે, ત્રણ મહિના નહીં ત્રણ દિવસમાં ચૂંટણી આવે તો પણ કોંગ્રેસ તૈયાર છે. ભાજપ હાલમાં ગભરાયેલી પાર્ટી છે. હાલમાં વર્ષ 2017 કરતા ભાજપની સ્થિતિ ઘણી ખરાબ છે. આ વખતે ભાજપને ઘરભેગી કરવા માટે પ્રજા તૈયાર બેઠી છે. ભાજપ આ વખતે ઘણા ધારાસભ્યોની ટિકિટને કાપી શકે છે. ભાજપ જૂના નેતાઓની ટિકિટ કાપવાના મુડમાં છે. વર્ષ 2022માં યુવાનોને પ્રમોટ કરવાનો ભાજપનો પ્લાન છે.

ભાજપ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં યુવાનોને તક આપવા માગે છે. જોકે, જૂના મંત્રીઓ સાતે જોડાયેવા વિવાદ અને સક્રિયતા એમ બંને વસ્તુઓની નોંધ લઈને ભાજપ આ ચૂંટણીમાં કોઈ નવતર પ્રયોગ કરે એવા એંધાણ છે. જ્યારે ધોબી પછડાટ ખાઈને પણ કોંગ્રેસ માટે ટકી રહેવું એક લોઢાના ચણા સમાન છે. બીજી બાજું આમ આદમી પાર્ટી જિલ્લાઓમાં સક્રિય થઈ રહી છે. એટલે એવું લાગે છે કે, ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે.

