સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરના રાજભવનમાં બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉપરાંત ટ્રસ્ટના સભ્યો જે.ડી. પરમાર, પી.કે. લહેરી, હર્ષવર્ધન ટીવેટિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ટ્રસ્ટના વાર્ષિક હિસાબો અંગે ચર્ચાની સાથે કાશી કોરિડોરની જેમ સોમનાથ કોરિડોર બનાવવાની વિચારણા પણ કરવામાં આવી હતી. તેમજ આ અંગે બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

દેશના 12 દ્વાદશ જ્યોતિર્લીંગમાં સૌ પ્રથમ જેમનું નામ લેવાય છે તેવા વેરાવળ સોમનાથનાં જગપ્રસિદ્ધ સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જાન્યુ.2021માં અધ્યક્ષ બન્યા હતા. આજે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત ગાંધીનગરના રાજ ભવનમાં ટ્રસ્ટી ગણ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના એવા બીજા વડાપ્રધાન છે જેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેયરમેન બન્યા હોય. આ પૂર્વે ચેરમેન તરીકે વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ રહી ચૂક્યાં છે.

