મોરબીની પીએમ શ્રી માધાપર કન્યા શાળાના ઉપ આચાર્ય તરીકે ફરજ બજાવતા પૂર્વ સીઆરસી કોઓર્ડિનેટર અરવિંદભાઈ કૈલાના પિતા અંબારામભાઈ કૈલાનું અવસાન થયું હતું. આ ઘટના બાદ પરિવારે સ્વજનની સ્મૃતિને સાચા અર્થમાં સેવા તરફ લઇ જવા અરવિંદભાઈએ પોતાના બહેન-બનેવી, પુત્ર-પુત્રવધૂ, દીકરી-જમાઈ સહિત પરિવારના સહયોગથી એક પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે. તેમણે પિતાની પુણ્યતિથિ નિમિત્તે દર મહિને શાળાની 414 બાળાઓ માટે ભોજન પ્રસાદ અથવા શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવાનું નક્કી કર્યું છે.આ સંકલ્પ અનુસાર અત્યાર સુધીમાં છ વખત ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં, શાળાની તમામ બાળાઓ ચિત્રકલા કરી શકે તે માટે ચિત્રપોથીઓ (ડ્રોઇંગ બુક્સ) અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર શાળા પરિવારે અરવિંદભાઈ કૈલાના આ ઉદાર અને પ્રેરણાદાયી પગલાનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

