ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી યોજાનારી બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ ત્રણની તા.13 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાની હતી. પણ આ પરીક્ષા એકાએક મોકુફ રાખી દેવામાં આવી છે. ગૌણ સેવા પસંદહી મંડળે હાલ પૂરતી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ પછી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ વહીવટી કારણોસર કસોટી મોકુફ રાખવા નિર્ણય લેવાયો છે.
કુલ 3901 જગ્યા માટે 10 લાખની વધારે ઉમેદવાર આ કસોટી આપવાના હતા. ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમેન આસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા મોકુફ રહે એવી અગાઉથી સંભાવના હતી. ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષા મામલે કોઈ વ્યક્તિ જવાબદારી લેવા માટે તૈયાર ન હોવાથી પરીક્ષા ફરીવાર મોકુફ રાખવામાં આવી છે. આ પહેલા પણ બે વખત આ કસોટી મોકુફ રાખવામાં આવી હતી. પહેલા ધો.12ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા મામલે કસોટી મોકુફ રહી હતી. બીજી વખત પેપર ફૂટવાનો મામલો અને ત્રીજી વખત ચેરમેનના રાજીનામાના પડઘા આ કસોટી પર પડ્યા છે. પણ આ મામલે હજુ સુધી કોઈ પદાધિકારી કે અધિકારીએ ચોખવટ કરી નથી. ઉમેદવારોમાં આ નિર્ણયને લઈને રોષ ફેલાયો છે. હેડ કલાર્કની કસોટી માટે ઉમેદવારી કરનાર 2.43 લાખ પૈકીના 88000 ઉમેદવારે આ કસોટી આપી હતી. કસોટી બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરૂવાઓ સાથે પેપર લીક થયાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં પહેલા ગૌણ સેવા પસંદગી મંડળે વાત સ્વીકારવાની ના પાડી દીધી. પછી સરકારે આક્ષેપ ફગાવ્યા. પણ પુરાવાઓ ચેક કર્યા બાદ પેપર લીક થયાની જાણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરતા પરીક્ષા રદ્દ કરવાના આદેશ કરાયા હતા. આ મામલે સાંબરકાંઠા પોલીસે તપાસ શરૂ કરી, ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
💥બિન સચિવાલય પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
— Yuvrajsinh Jadeja (@YAJadeja) February 9, 2022
કારણ દર્શાવવામાં વહીવટી આવશે..
💥પળદા પાછળનું સાચું કારણ ગોપનીય રહશે.#બિન_સચિવાલય pic.twitter.com/Jkqt2IfO2U
આ કેસમાં અમદાવાદના પ્રિન્ટિગ પ્રેસના કર્મચારીએ પેપર ફોડ્યુ હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો હતો. ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વિવિધ ખાતાની કચેરીઓ તથા મહેસુલ વિભાગ અંતર્ગત ક્લેક્ટર કચેરી માટે કારકુન વર્ગ ત્રણ અને ઓફિસ આસિ. માટે 2018માં જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષા રદ્દ થવા મુદ્દે કોઈ કારણ જાહેર કરાયું નથી. આસિત વોરાના રાજીનામા બાદ સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ એ.કે.રાકેશને ચાર્જ સોંપવામાં આવ્યા છે. પરીક્ષામાં કોઈ રીતે ગેરરીતિ થાય તો GAD ઉપર માછલા ધોવાય એમ હતું. એટલે ફુલપ્રુફ વ્યવસ્થા કરવા માટે સમય જોઈતો હતો. તેથી તા.13 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી. બીજીબાજુ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો કે, વચેટિયા સક્રિય થયા છે અને પાંચ જિલ્લામાં ઉમેદવારો સાથે સેટિંગ કરી રહ્યા છે. આ મુદ્દે પરીક્ષા મોકુફ રાખી દેવાઈ છે. એક બાજું સરકાર નવી ભરતીઓની જાહેરાત કરે છે અને બીજી બાજુ લાંબા સમયથી પેન્ડિગ ભરતી પણ મુલતવી રાખવી પડે એવી સ્થિતિ છે.

