સામાન્ય રીતે એવું જાણવા મળે છે કે, જ્યારે વ્યક્તિને કોઈ વીજશોક લાગે ત્યારે એના બચવાના ચાન્સ ઓછા રહે છે. પણ અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં તબીબોની મહેનત અને ધૈર્યને સલામ કરવું પડે. નડિયાદમાં રહેતો નવ વર્ષનો બાળક ધાબા પરથી પતંક પકડવા માટે દોડ્યો હતો. પતંગ પકડવા માટે જતા બાજુમાંથી પસાર થતી 11000 વોલ્ટેજની લાઈનમાં ચોંટી ગયો હતો. એનું હ્દય પણ માત્ર 10 ટકા કામ કરતું હતું. બાળકને સારવાર માટે અમદાવાદની ડિવાઈન ચાઈલ્ડ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જ્યાં ડૉ. હાર્દિક પટેલની ટીમે સતત 12 દિવસ સુધી એની સારવાર કરીને બાળકનો જીવ બચાવ્યો છે. આ કેસમાં માતાપિતાએ તો આશા છોડી દીધી હતી પણ તબીબોને આશા નહીં વિશ્વાસ હતો. ડૉ. હાર્દિક પટેલ અને ડૉ. દેવાંગ સોલંકીએ ચાલું એમ્બ્યુલન્સમાં ઓન કોલ સારવાર આપી અમદાવાદ સુધી લાવ્યા હતા. 12માં દિવસે બાળક અયાન રમતો થઈ ગયો છે. તા. 26 ડીસેમ્બરના રોજ ધાબા પર પતંગ પકડવા જતા અયાનને વીજકરંટ લાગ્યો હતો. એ પછી સારવાર માટે એને અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અયાનના મામા ફીરોઝભાઈએ જણાવ્યું કે, જ્યારે એને કરંટ લાગ્યો ત્યારે સ્થિતિ ગંભીર હતી. અમે એના જીવવાની આશા છોડી દીધી હતી. પણ ડૉ. હોર્દિક પટેલની ટીમે મહામહેનતે એને બચાવી લીધો છે. આજે અયાન રમી રહ્યો છે. જ્યારે ડૉ.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નડિયાદના નવ વર્ષના અયાનને વીજ કંરટ લાગતા તે સાતથી આઠ ફૂટ હવામાં ઉછળ્યો હતો. એની શરીર હવામા ફંગોળાયું હતું. હ્દય 10 ટકા ચાલું હતું. શ્વાસ રોકાયેલા હતા, શરીરનો રંગ બદલી ગયો હતો. નાક અને મોઢામાંથી લોહી નીકળતું હતું. છેવટે બાળક કોમામાં સરી પડ્યો. સ્થાનિક હોસ્પિટલમાં પણ એની સારવાર કરવામાં આવી હતી. જ્યાંથી તેઓ અમદાવાદ આવ્યા હતા. પછી ટીમે એની સારવાર એમ્બ્યુલન્સમાં જ ચાલું કરી દીધી હતી.

વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો, ફેફસામાંથી જે લોહી આવતું હતું એ બંધ કરવા માટે દવા દેવામાં આવી. ત્રણ જુદા જુદા પ્રકારના ઈન્જેક્શન હ્દય ચાલું કરવા માટે અપાયા. દિમાગ પરનો સોજો ઓછો કરવા માટે દવા ચાલું હતી. સતત આવી રહેલી ખેંચને બંધ કરવા ચાર અલગ અલગ પ્રકારના ઈન્જેક્શન આપવમાં આવ્યા હતા. સ્નાયુ, કિડની, લીવર અંગેની ટ્રિટમેન્ટ ચાલુ કરવામાં આવી હતી. સાત દિવસની સારવાર બાદ બાળકના બીજા અંગ પણ મજબુત થવા લાગ્યા. ગંભીર સ્થિતિનો અંત આવ્યો. 12 દિવસ બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા એને રજા આપી દેવામાં આવી હતી.ડૉ. હાર્દિક પટેલ કહે છે કે, આવા કેસ ભાગ્યે જ બને છે. મોટાભાગના આવા કેસમાં બાળકનું મોત નિશ્ચિત હોય છે. કદાચ બચે તો પણ શારીરિક રીતે સ્વસ્થ રહેતો નથી. માનસિક રીતે ખોટ રહી જાય છે. આ કેસ રેર છે.

