માળીયા મિયાણા તાલુકાના નવી નવલખી ગામે કૌટુંબિક અને જૂની અદાવતમાં એક રહેણાંક મકાનમાં ઘૂસીને મોટા પાયે તોડફોડ કરી, આશરે ૧.૫૦ લાખ રૂપિયાની ઘરવખરીને આગ ચાંપી દેવાની સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખૂનના ગુનાનો ખાર રાખીને સાત જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી આ કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, હાલ જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા અને મૂળ નવી નવલખી ગામના વતની બાનુબેન અભરામભાઇ સાઇચા (ઉ.વ. ૪૫) એ માળીયા પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓ તરીકે ઇબ્રાહીમ હારૂનભાઇ સોતા, ઇશાક કરીમભાઇ પઠાણ, શકીનાબેન અબ્બાસભાઇ સોતા, સલમાબેન હશનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઇ સોતા, શેરબાનુ ઇમરાનભાઇ સોતા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતા નામો જાહેર કરાયા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ નવી નવલખી ગામે અબ્બાસ અબ્દુલભાઇ સોતા નામના વ્યક્તિનું ખૂન થયું હતું. આ હુમલા અને ખૂનના કેસમાં ફરિયાદી બાનુબેનનો દીકરો હુશેન અભરામભાઇ સાઇચા પણ સંડોવાયેલો હતો. આ વાતનું મનદુઃખ રાખીને મરણ જનાર અબ્બાસભાઈના સગા-સંબંધીઓએ બદલો લેવાની ભાવના રાખી હતી.ગત તા. ૦૨/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ૧:૦૦ વાગ્યાની આસપાસ તમામ આરોપીઓએ એકસંપ થઈ, ગેરકાયદેસર મંડળી રચીને નવલખી ગામે આવેલા ફરિયાદી બાનુબેનના બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી, અંદર રાખેલી આશરે ₹૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર) ની કિંમતની તમામ ઘરવખરી અને કિંમતી સામાન ઘરની અંદર તેમજ બહાર કાઢીને સળગાવી દીધો હતો અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે બાનુબેનની ફરિયાદ આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

