ઉત્તરાખંડ ભાજપે દાવો કર્યો છે કે પાર્ટીમાં શુક્રવારે મોડી રાત્રે મચેલા ધમાસાણનો પટાક્ષેપ થઈ ગયો છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોડી રાત્રે દખલગીરી કરાયા બાદ કેબિનેટ બેઠકમાં રાજીનામાની ઘોષણા કરનારા વન અને પર્યાવરણ મંત્રી હરકસિંહ રાવતને મનાવી લેવાયા છે. જો કે હરકસિંહ રાવત તરફથી હજી સુધી કંઈ કહેવામં આવ્યું નથી. કેબિનેટ બેઠકમાં રાજીનામાની ઘોષણા કરયા બાદથી તેઓ કોઈ અજ્ઞાત સ્થાન પર છે અને તેમનો ફોન પણ બંધ છે.
ઉત્તરાખંડ સરકારના વરિષ્ઠ મંત્રી અને રાજ્યના કદ્દાવર નેતા હરકસિંહ રાવતે શુક્રવારે અચાનક પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના પછી હરકસિંહના નજીકના અને દહેરાદૂનની રાયપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ઉમેશ શર્મા કાઉએ પણ રાજીનામું આપ્યું હતુ. એક પછી એક બે મોટા નેતાઓના રાજીનામાને ભાજપ માટે એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું હતું. તેથી ભાજપહાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે સક્રિય થયું હતું.
ભાજપની બેચેની એટલા માટે પણ હતી, કારણ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત શનિવારે બપોરે જ દહેરાદૂન પહોંચવાના છે. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસેથી પાર્ટીના નેતૃત્વનો અધિકાર મેળવી લીધો છે. સૂત્રો પ્રમાણે, હરીશ રાવત ગત વિધાનસભા ચૂંટણીથી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોના સંપર્કમાંછે. તેવામાં અહેવાલ છે કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની સરકારમાં કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ સિવાય મોટાભાગના પૂર્વ કોંગ્રેસી નેતાઓ ઘરવાપસીની તૈયારી કરી રહ્યા છે.

હરકસિંહ રાવતના કોંગ્રેસમાં જવાને લઈને લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. હવે ચૂંટણી પહેલા કોટદ્વારમાં મેડિકલ કોલેજના બહાને હરકસિંહ રાવત ખુદને શહીદ તરીકે દર્શાવવા માંગે છે. માટે ભાજપના એ દાવા કે બધું બરાબર થઈ ગયું છે, તેના પર ભરોસો થઈ શકે તેમ નથી.
મીડિયા અહેવાલો મુજબ, હરકસિંહ રાવત નારાજ થઈને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાંથી રાજીનામું આપવાની વાત કહીને બહાર નીકળી ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે તેમણે બેઠક દરમિયાન કોટદ્વારમાં મેડિકલ કોલેજ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને નામંજૂર કરવામાં આવ્યો હતો. હરકસિંહ રાવત લાંબા સમયથી આની માગણી સરકાર સમક્ષ કરી રહ્યા હતા.
હરકસિંહના નિકટવર્તી સૂત્રોનું કહેવું છ કે તેમનો ગત કેટલાક સમયથી પાર્ટીના નેતૃત્વ સાથે ઘણાં મુદ્દાઓને લઈને તણાવ ચાલી રહ્યો હતો. પરંતુ બેઠકમાં પ્રસ્તાવ નામંજૂર થવાથી તેમને વધારે દુખ થયું છે. તેમણે રાજીનામું આપવાની વાત મીડિયાને કહી કે મને પાર્ટીની અંદર ભિખારી જેવો બનાવી દેવામાં આવ્યો છે. તેવામાં હવે તેમની સાથે કામ કરી શકતો નથી.
હરકસિંહ 2016માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. પરંતુ તેઓ પોતાની સાથે કોંગ્રેસમાંથી આવેલા સતપાલ મહારાજને વધારે મહત્વ મળવાને કારણે નારાજ હતા. કેટલાક સૂત્રોએ હરકસિંહના પાછા કોંગ્રેસમાં જવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. તેઓ શુક્રવારે જ દિલ્હીથી દહેરાદૂન પાછા ફર્યા હતા.
આ આશંકા પહેલા જ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા પાર્ટીને મોટો આંચકો આપે તેવી શક્યતા છે. આના પહેલા યશપાલ આર્ય પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. જણાવવામાં આવે છે કે હાલ વધુ ત્રણ ધારાસભ્યો ભાજપ છોડે તેવી શક્યતા છે.
હરકસિંહ રાવતના કોંગ્રેસમાં જવાને લઈને લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. હવે ચૂંટણી પહેલા કોટદ્વારામાં મેડિકલ કોલેજના બહાને રાજકીય શહીદ તરીકે દર્શાવવાની હરકસિંહ રાવતની કોશિશ તેમની કોંગ્રેસમાં ઘરવાપસીનો દાંવ હોવાનું માનવામાં આવે છે. તેથી ભાજપના બધું બરાબર હોવાના દાવા પર ભરોસો હરકસિંહ રાવતના સ્પષ્ટીકરણ પહેલા થઈ શકે તેમ નથી.

