જેસલમેર, શનિવાર
ભારતીય વાયુસેનાનું એક મિગ-21 યુદ્ધવિમાન શુક્રવારે સાંજે રાજસ્થાનના જેસલમેરની નજીક ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિંહાની વીરગતિ થઈ છે. એરફોર્સે આની પુષ્ટિ કરી દીધી છે. જે સ્થાને આ ફાઈટર જેટ ક્રેશ થયું છે, તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં છે અને પાકિસ્તાનની બોર્ડરની નજીક છે. આ એરિયા આર્મીના કંટ્રોલમાં છે. માટે ત્યાં કોઈને પણ જવા દેવામાં આવી રહ્યા નથી.
ભારતીય વાયુસેનાનું આ યુદ્ધવિમાન શુક્રવારે રાત્રે 8.30 કલાકે ક્રેશ થયું હતું. વિંગ કમાન્ડર હર્ષિત સિંહા પોતાની રેગ્યુલર ઉડાણ માટે જેસલમેર એરફોર્સ સ્ટેશનથી નીકળ્યા હતા. દુર્ઘટનાનું સ્થાન જેસલમેરથી લગભગ 70 કિલોમીટર દૂર છે. ઘટનાસ્થળે પોલીસ અને ફાયરબ્રિગેડ પહોંચ્યા હતા. ગ્રામીઓ પ્રમાણે, યુદ્ધવિમાનને હવામાં જ આગ લાગી હતી. તેના પછી તે વિસ્ફોટ સાથે જમીન પર પડ્યું હતું. જ્યાં આ દુર્ઘટના થઈ છે, ત્યાં નજીકમાં નીમ્બા ગામ છે. અહીંના ગુલામ રસૂલે કહ્યુ છે કે ઉડતા વિમાનમાં આગ લાગ્યાના તુરંત બાદ તે વિસ્ફોટ સાથે નીચે પડયું. જ્યાં ગામના ઘણાં લોકો દોડી આવ્યા હતા, ત્યારે ચારે તરફ આગ ફેલાય ચુકી હતી. દુર્ઘટના નેશનલ પાર્કમાં થઈ હતી. માટે ત્યાં કોઈને પણ અંદર આવવા દેવામાં આવ્યા ન હતા.
બાદમાં આર્મીએ આખા વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈને તેને કવર કરી લીધો હતો. ઘટનાસ્થળે બાદમાં કલેક્ટર આશિષ મોદી, એસપી અજયસિંહ, ફાયરબ્રિગેડની ટીમ અને લોકલ પોલીસ પહોંચી હતી. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે, ઘટનાસ્થળે મળેલી લાશનો ડ્રેસ અને નેમ પ્લેટ પણ બળી ચુક્યા છે. માનવામાં આવે છે કે હવામાં આગ લાગવાને કારણે વિંગ કમાન્ડર સિંહા ખુદને ઈજેક્ટ કરી શક્યા નહીં. આ પહેલા ઓગસ્ટ, 2021માં બાડમેરમાં એક મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. આ ફાઈટર જેટ ટ્રેનિંગ ઉડાણ પર હતું. ટેક ઓફ બાદ તેમાં તકનીકી ખરાબી આવી ગઈ હતી અને યુદ્ધવિમાન એક ઝૂંપડી પર પડયું હતું. પ્લેન ક્રેશ થતા પહેલા પાયલટે ખુદને ઈજેક્ટ કરી લીધો હતો.
રશિયા અને ચીન બાદ ભારત મિગ-21નો ત્રીજો મોટો ઓપરેટર દેશ છે. 1964માં આ યુદ્ધવિમાનને પહેલા સુપરસોનિક ફાઈટર જેટ તરીકે એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ જેટ રશિયામાં નિર્માણ પામ્યા હતા અને બાદમાં ભારતે આ વિમાનોને એસમ્બલ કરવાનો અધિકાર અને તકનીક પણ પ્રાપ્ત કરી લીધા હતા. ત્યારથી અત્યાર સુધીમાં મિગ-21 યુદ્ધવિમાનોએ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ, 1999ના કારગીલ યુદ્ધ સહીતના અવસરો પર મહત્વની ભૂમિકા નીભાવી છે. રશિયાએ તો 1985માં આ યુદ્ધવિમાનનું નિર્માણ બંધ કરી દીધું હતું, પરંતુ ભારત તેના અપગ્રેડેડ વેરિએટનો ઉપયોગ કરી રહ્યું છે.
રાજસ્થાનમાં 8 વર્ષમાં 7 ફાઈટર જેટ થયા છે ક્રેશ-
12 ફેબ્રુઆરી, 2013- ઉત્તરલાઈથી માત્ર 7 કિલોમીટર દૂર અનાણિયાની ઢાણી કુડલા પાસે મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત
7 જૂન, 2013- ઉત્તરલાઈથી 40 કિલોમીટર દૂર સોડિયારમાં મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત
15 જુલાઈ, 2013- ઉત્તરલાઈથી 4 કિલોમીટર દૂર બાંદરામાં મિગ-27 ક્રેશ, પાયલટ સુરક્ષિત
27 જાન્યુઆરી, 2015- બાડમેરના શિવકર રોડ પર મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત
10 સપ્ટેમ્બર, 2016- માલિયોની ઢાણી બાડમેરમાં મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત
15 માર્ચ, 2017- શિવકરની પાસે સુખોઈ-30 ક્રેશ, પાયલટ સુરક્ષિત
25 ઓગસ્ટ, 2021- માતાસર ભુરટિયામાં મિગ-21 બાઈસન ક્રેશ, પાયલટ સુરક્ષિત

