ઢાકા, શુક્રવાર
બાંગ્લાદેશના ઝલોકાટી જિલ્લામાં શુક્રવારે સવારે એક ફેરીમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાય છે. રોયટર્સના અહેવાલ પ્રમાણે, આગ લાગવાથી ફેરીમાં સવાર 32 લોકોના મોત નીપજ્યા છે અને 100 લોકો ઘાયલ થયા છે. ઝલોકાટી જિલ્લા એડિશનલ ડેપ્યુટી કમિશનર મોહમ્મદ નજમુલ આલમે કહ્યુ છે કે ફેરીમાં લગભગ 1000 લોકો સવાર હતા. ફેરી ઢાકાથી બરગુના જિલ્લા તરફ જઈ રહી હતી. દુર્ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 200 કિલોમીટરના અંતરે સર્જાય હતી.
સ્થાનિક પોલીસ પ્રમુખ મોઈનુલ ઈસ્લામે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું છે કે ત્રણ માળની ફેરી ઓબીજાન 10માં નદીની વચ્ચે આગ લાગી હતી. અત્યાર સુધીમાં 32 લાશો મળી છે. મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે. મોટાભાગના લોકોના મોત આગમાં સળગી જવાને કારણે થયા છે. જ્યારે કેટલાક લોકો જીવ બચાવવા માટે નદીમાં કૂદી ગયા હતા. પાણી ઉંડુ હોવાને કારણે તેમના મોત નીપજ્યા છે. મોઈનુલ ઈસ્લામે કહ્યુ છે કે પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આગ ફેરીના એન્જિનમાં લાગી હતી. આગ લાગવાના કારણોની હજી જાણકારી મળી શકી નથી. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા જુલાઈમાં ઢાકામાં 6 માળની એક ફેક્ટરીમાં આગ લાગી હતી અને તેમા 52ના જીવ ગયા હતા.

