ગાંધીનગર, બુધવાર
ગૌણ સેવા મંડળ યોજિત હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ રાજ્યમાં ઘમાસાણ મચ્યું છે અને કોંગ્રેસથી લઈ આમ આદમી પાર્ટી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ બુધવારે કેબિનેટ બેઠક ચાલુ હતી તે દરમિયાન અસિત વોરા સ્વર્ણિક સંકુલમાં દેખાયા હતા અને સીધા મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. મુખ્યમંત્રી કેબિનેટ બેઠકમાંથી આવ્યા બાદ લગભગ 15થી 20 મીનિટ સુધી અસિત વોરા સાથે બેઠક યોજાઈ હતી અને તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
અસિત વોરાની મુખ્યમંત્રી સાથેની મુલાકાતને લઈ અનેક અટકળો થતી હતી કે વોરા રાજીનામું આપી શકે છે પણ જ્યારે વોરા સીએમને મળીને બહાર નીકળ્યા ત્યારે અસિત વોરાએ નફફ્ટાઈથી કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત હતી. અસિત વોરા આટલું કહીને ગાડીમાં રવાના થઈ ગયા હતા. પત્રકારોના સવાલોથી વોરા ભાગતા નજરે પડ્યા હતા તો બીજી તરફ શુભેચ્છા મુલાકાત જેવું કહીને અસિત વોરાએ બેશર્મી બતાવી હતી. રાજ્યના 88 હજાર પરિવારના સપના તૂટ્યા છે ત્યારે વોરા બેશર્મથી કહી દે છે કે, આ તો શુભેચ્છા મુલાકાત હતી. બીજી તરફ અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય બહાર કોંગી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જ્યાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી તો ત્રીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા હવે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી અસિત વોરા રાજીનામું નહી આપે કે રાજ્ય સરકાર રાજીનામું નહી લઈ લે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદથી લઈ વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, મહેસાણાથી લઈ તમામ ઝોનમાં અસિત વોરા સામે જાેરદાર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યું છે તેમ છતાં પણ રાજ્ય સરકારનું હજુ પેટનું પાણી હાલતું નથી જે ગુજરાતની કમનસીબી છે.
રાજ્યના 88 પરિવારોના સપના તૂટ્યા છે અને લાખો ઉમેદવારોનો વિશ્વાસ તૂટ્યો છે તેવા કપરા સમયમાં જ્યારે પોતાની ગંભીર બેદરકારી સ્વીકારીને ગૌણ સેવા મંડળના અસિત વોરાએ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જાેઈએ પણ તેવું થતું નથી. પેપર ફૂટ્યા છે અને સપના તૂટ્યા છે તેવા કપરા સમયમાં અસિત વોરા જ્યારે આજે સ્વર્ણિમ સંકુલમાં પ્રગટ થયા ત્યારે તેઓ રાજીનામું આપવા માટે આવ્યા હશે તેવી અટકળો તેજ થઈ હતી. જાે કે, જ્યારે તેઓ મુખ્યમંત્રીને મળીને બહાર નીકળ્યા ત્યારે પત્રકારોને જાેઈ ભાગ્યા હતા અને ગાડીમાં બેસતા બેસતા નફ્ફટાઈથી કહ્યું હતું કે, શુભેચ્છા મુલાકાત હતી, થેંક્યુ…બસ આટલું કહીને વોરા ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા.
અસિત વોરાના ચહેરા ઉપર જરાય સંવેદના જાેવા મળી નહોતી કે જેમના કારણે 88 હજાર પરિવારોની હાલત કફોડી બની છે તેમ છતાં વોરાને એવું લાગતું નથી કે પોતાનું રાજીનામું આપી દેવું જાેઈએ. રાજ્યભરના લાખો યુવાનો અસિત વોરાના રાજીનામાની માગણી કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પણ અસિત વોરાની બચાવની ભૂમિકામાં જાેવા મળી રહ્યું છે. જીતુ વાઘાણી જેવા નેતા અસિત વોરાને ક્લીનચીટ આપી રહ્યા છે અને આખે આખી સરકાર વોરાના બચાવમાં કૂદી પડી છે.
અસિત વોરા ભાજપના નેતા છે એટલે સરકાર બચાવની ભૂમિકામાં આવી ચૂકી છે. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાની ગંભીર બેદરકારી છતી થઈ છે અને તેમની બેદરકારીથી જ પેપર લીક થયું છે તેમ છતાં પણ અસિત વોરા નફ્ફટાઈથી કહે છે કે, શુભેચ્છા મુલાકાત હતી. અસિત વોરાને ખબર નથી કે 88 હજાર પરિવારોની શું વેદના છે, શું સંવેદના છે તેનો જરાય ખ્યાલ વોરાને નથી. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે ત્યારે પણ સરકાર અસિત વોરાને બચાવી રહી છે તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. અસિત વોરાની શંકાસ્પદ ભૂમિકા હોવા છતાં રાજ્ય સરકાર કેમ ઘૂંટણિયે પડી ગઈ છે તેનું રહસ્ય ઉમેદવારોને સમજાતું નથી.

