નવી દિલ્હી, ગુરુવાર
તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહીત 13ના મોતના મામલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભા અને રાજ્યસભામાં જાણકારી આપી છે. આ પહેલો મોકો છે કે જ્યારે સરકાર તરફથી આ ઘટના બાબતે કોઈ જાણકારી જાહેર કરવામાં આવી છે. રાજનાથસિંહે કહ્યુ છે કે આ ઘટનાને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સીડીએસની સાથે જ તમામ જવાનોના અંતિમ સંસ્કાર પુરા સૈન્ય સમ્માન સાથે કરવામાં આવશે.
સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યુ હતુ કે ચોપરમાં સવાર 14માંથી 13 લોકોના મોત થયા છે. તેમણે કહ્યુ હતુ કે કેવી રીતે બચાવ ટુકડીઓએ બાકીના 13ના જીવ બચાવવા માટે પણ દરેક શક્ય કોશિશો કરી હતી. તેમણે કહ્યુ છે કે ઘટના બાદ ઘાયલોને વેલિંગ્ટન હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટનામાં એકમાત્ર બચેલા વ્યક્તિ ગ્રુપ કેપ્ટન વરુણસિંહ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. રાજનાથસિંહે કહ્યુ છે કે ભારતીય વાયુસેનાએ આ ક્રેશ બાદ ટ્રાઈ સર્વિસ ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે. આ મામલાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહના નેતૃત્વમાં કરવામાં આવશે.
રાજનાથસિંહે કહ્યુ હતુ કે જનરલ બિપિન રાવત પોતાના એક પૂર્વનિર્ધારીત સમારંભમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. સવારે 11.48 કલાકે સુલૂરથી ઉડાણ ભરી. તેના પછી 12.15 પર વેલિંગ્ટનમાં લેન્ડ કરવાના હતા. પરંતુ 12.08 કલાકે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળ્યો તો ઘટનાસ્થળે પહોંચ્યા અને તાત્કાલિક રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મૃત્યુ થયા. તેમા સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સામેલ હતા. જનરલ બિપિન રાવત વેલિંગ્ટનની ડિફેન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે પોતાના એક પૂર્વનિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે અહીં આવવાના હતા.
રાજનાથસિંહે કહ્યુ છે કે તમામ પાર્થિવ દેહને આજે સાંજે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવશે અને પુરા સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

