સિંગાપુર, સોમવાર
કોરાનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલા ઝડપથી આખી દુનિયામાં વધી રહ્યા છે. વૈજ્ઞાનિક આ વેરિએટ સાથે જોડાયેલી તમામ જાણકારી એકઠી કરવામાં લાગેલા છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો બાદ હવે સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે આ વેરિએન્ટ સાથે જોડાયેલી નવી બાબતો દુનિયાની સામે રજૂ કરી છે. સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે પ્રારંભિક પુરાવા પરથી ઉજાગર થાય છે કે કોવિડ-19નો ઓમિક્રોન વેરિએન્ટ તેને ડેલ્ટા અને બીટા વેરિએન્ટની સરખામણીએ વધારે ચેપી છે અને તે રી-ઈન્ફેક્શનનો ખતરો પેદા કરવાના મામલે પણ આ બંને વેરિએન્ટ કરતા ઘણો આગળ છે.
સિંગાપુરની મુખ્ય ચેનલ ન્યૂઝ એશિયાએ ઓમિક્રોન વેરિએન્ટ પર મંત્રાલયને ટાંકીને કહ્યું છે કે કોવિડ-19થી ઠીક થઈ ચુકેલા લોકોની ઓમિક્રોન વેરિએન્ટથી ફરીથી ચેપગ્રસ્ત થવાની સંભાવના વધારે છે. સિંગાપુરમાં પણ ઓમિક્રોનના મામલા સામે આવી રહ્યા છે. રવિવારે ત્યાં 37 વર્ષનો એક વ્યક્તિ ઓમિક્રોનથી ચેપગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. 27 વર્ષીય આ વ્યક્તિ કોરોના રોકવાની રસીના બે ડોઝલઈ ચુક્યો હતો. આ વ્યક્તિ 1 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાથી સિંગાપુર પાછો ફર્યો હતો. રવિવારે સિંગાપુરમાં કોવિડ-19 552 નવા કેસ સામે આવ્યા હતા અને 13ના મોત નીપજ્યા હતા.
મંત્રાલયે કહ્યું છે કે તેણે ગત કેટલાક દિવસોમાં દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોના રિપોર્ટોની સમીક્ષા કરી છે. એક્સપર્ટ્સ પાસેથી દરેક જાણકારી એકઠી કરવામાં તે લાગેલું છે. દુનિયાભરમાં જે પ્રકારે નવા વેરિએન્ટના મામલા ઝડપથી વધી રહ્યા છે, આગામી સમયમાં સિંગાપુરમાં પણ કેસ વધવાની સંભાવના છે. આનું ટેસ્ટિંગ વધારેમાં વધારે કરવું પડશે. અભ્યાસમાં એ જાણકારી એકઠી કરવાની કોશિશ કરાય રહી છે કે કોવિડ-19 વેક્સિન ઓમિક્રોન વેરિએન્ટ પર કામ કરશે અથવા નહીં. પરંતુ વૈજ્ઞાનિકો પ્રામણે, વેક્સિન આ વેરિએન્ટ પર પણ કામ કરશે અને લોકોને ગંભીર બીમારીથી બચાવશે. માટે લોકોને ઝડપથી વેક્સિનના બંને ડોઝ લેવા જોઈએ.
સિંગાપુરના આરોગ્ય મંત્રાલય પ્રમાણે, મોટાભાગના મામલાઓમાં ઓમિક્રોનના હળવા લક્ષણો છે અને હાલ આ વેરિએન્ટથી મોતના કોઈ મામલા સામે આવ્યા નથી. માત્ર ગળામાં ખરાશ, થાક અને ખાંસી જેવા સામાન્ય લક્ષણો જ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં યુવાઓના વધારે ચેપગ્રસ્ત થવાના અહેવાલ પર મંત્રાલયે કહ્યુ છે કે બની શકે કે આવું વસ્તીમાં વધારે ચેપ ફેલાવાને કારણે બન્યું હોય.
વધારે લોકોના ચેપગ્રસ્ત થવાની એક એ પણ સંભાવના હોઈ શકે છે કે હોસ્પિટલોમાં અન્ય બીમારીવાળા લોકો ભરતી હોય અને ઓમિક્રોન ફેલાવવાને કારણે હોસ્પિટલમાં તે પણ આ વેરિએન્ટનથી સંક્રમિત થઈ ગયા હોય. જો કે બીમારીની ગંભીરતા બાબતે હાલ કંઈ કહી શકાય તેમ નથી. દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિશેષજ્ઞો પ્રમાણે, આ વેરિએટથી હોસ્પિટલમાં ભરતી લોકોને એકથી બે દિવસમાં રજૂ મળી ગઈ છે. સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ઓમિક્રોન સહીત કોવિડ-19ના કોઈપણ વેરિએન્ટની ઓળખ માટે આરટી-પીસીઆર ટેસ્ટ અસરકારક છે. માટે તેને ફેલાવવાથી રોકવા માટે ટેસ્ટિંગ ઘણું જરૂરી છે.

