સંસદના શિયાળુ સત્રનો સોમવારથી પ્રારંભ થયો હતો જોકે પ્રથમ દિવસે જ રાજ્યસભામાં ભારે ધાંધલ ધમાલ કરી હતી, અને સાંસદોએ ઉપસભાપતિ હરિવંશ પર કાગળો ફેકવામાં આવ્યા હતા તેમજ ટેબલ પર ચઢી ધાંધલ ધમાલ અને સુત્રોચ્ચાર કર્યા હતા જે બાદ કોંગ્રેસના ૬ સાંસદ તેમજ ટીએમસી શિવસેનાના 2-2,સીપીઆઇ અને સીપીઆઇએમ મળી કુલ 12 સાંસદોને ગૃહની કામગીરી ખોરવવા બદલ આ સાંસદો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી, આ સંજોગોમાં રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ આ સાંસદોને વર્તમાન સત્રમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાના બિલ પર સંસદની મહોર લગાવવામાં આવી છે. વિપક્ષ કૃષિ કાયદા પરત લેવાના બિલ પર ચર્ચા કરવા માટે મક્કમ હતું. વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું છે. હવે રાષ્ટ્રપતિની મજૂરી મળતા જ ત્રણેય કૃષિ કાયદા રદ્દ થશે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લોકસભામાં પાસ થયા બાદ કૃષિ કાયદા પરત લેવાનું બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે સરકાર ગૃહને કામ ન કરવા દેવા માટે અમને દોષી ઠેરવે છે. કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરવામાં આવ્યું અને ચર્ચા વગર જ પસાર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે સરકારે ભલે કૃષિ કાયદાને રદ્દ કરી દીધા હોય, પરંતુ તેના ‘મન ની વાત’ કંઈક અલગ જ છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે જ લોકસભામાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ કરાયું હતું.

