3 વિવાદીત કૃષિ કાયદાઓની વાપસીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો વાયદો શિયાળુ સત્રના પહેલા દિવસે જ પૂર્ણ કર્યો છે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ત્રણેય વિવાદીત કૃષિ કાયદાઓને પાછા ખેંચવાને લઈને રજૂ કરાયેલું બિલ પારીત થઈ ચુક્યું છે. વિપક્ષના હંગામા વચ્ચે બિલને મંજૂરી મળી છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ આ કાયદાઓની વાપસીની ઔપચારીકતા પૂર્ણ કરવામાં આવશે. આ કાયદાઓની વાપસી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું ખેડૂત આંદોલનકારી હવે પોતાના ઘરોમાં પાછા ફરશે અથવા હજી પણ અહીં ડેરાતંબુ સાથે યથાવત રહેશે. જો કે રાકેશ ટિકૈત સહીતના ઘણાં ખેડૂત નેતાઓએ તાત્કાલિક વાપસીની વાતનો ઈન્કાર કર્યો છે.
રાકેશ ટિકૈતે કહ્યુ છે કે અમારી મુખ્ય માગણી એમએસપી કાયદો છે. તેના પર સરકાર કોઈ કાર્યવાહી અથવા વાતચીત કરતી દેખાય રહી નથી. તેમણે કહ્યુ છે કે આના પર અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકાર આગળ વધે, તો પછી અમે આંદોલનની વાપસી પર વિચાર કરી શકીએ છીએ.
આ પહેલા ત્રણેય વિવાદીત કૃષિ કાયદાઓની વાપસી સાથે સંબંધિત બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિપક્ષના હંગામે વચ્ચે તેને સંસદના પટલ પર રજૂ કર્યું હતું. વિપક્ષના હંગામા વચ્ચે બિલ લોકસભામાંથી મંજૂર થયું હતું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ બિલ પર ગૃહમાં ચર્ચાની માગણી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશને સંબોધિત કરતા આ ત્રણેય કૃષિ કાયદાઓની વાપસીની ઘોષણા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે અમે ક્યાંકને ક્યાંક કેટલાક ખેડૂતોને આનો ફાયદો સમજાવવામાં સફળ રહ્યા નથી. આના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓની વિરુદ્ધ સોમવારે સંસદ ભવન પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદોએ પરિસરમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની સમક્ષ એકત્રિત થઈને એક મોટા બેનર સાથે પ્રદર્શન કર્યું હતું. આ બેનર પર અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે અમે કાળા કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની માગણી કરીએ છીએ.

