પશ્ચિમ બંગાળમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યાં એકઠા થયેલા લોકોની મદદથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ,પશ્ચિમ બંગાળના નદિયાના હાંસખાલી વિસ્તારમાં શનિવારે રાત્રે આ અકસ્માત થયો હતો.ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે લોકો નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. હાંસખાલી થાણા ક્ષેત્રના ફૂલવાડી વિસ્તારમાં રસ્તાના કિનારે ઉભેલા એક ટ્રક સાથે મેટાડોરની અથડામણ થઈ હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, 18 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે ગાઢ ધુમ્મસ અને તેજ ગતિના આ કારણે આ દુર્ઘટના બની છે. જોકે પોલીસે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

