વોશિંગ્ટન, મંગળવાર
અમેરિકાએ કહ્યું છે કે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા ડ્રોન એટેક માટે કોઈપણ અમેરિકન સૈન્યકર્મી અથવા અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં નહીં આવે. આ એ એરસ્ટ્રાઈકની વાત થઈ રહી છે કે જેમાં આઈએસઆઈએસના કથિત ઠેકાણા પર હુમલામાં 10 સિવિલિયન્સ માર્યા ગયા હતા.
આ હુમલો ત્યારે થયો હતો કે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાન છોડવાની પ્રક્રિયાના આખરી તબક્કામાં હતું અને અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થઈ ચુક્યો હતો. આ એરસ્ટ્રાઈકમાં એક સહાયતાકર્મી અને તેના પરિવારના 9 સદસ્યો માર્યા ગયા હતા. આ મૃતકોમાં 7 બાળકો પણ સામેલ હતા.
અમેરિકાની ગુપ્તચર એજન્સીનું કહેવું હતું કે સહાયતાકર્મીની કાર ઈસ્લામિક સ્ટેટની સ્થાનિક વિંગ આઈએસ-કે સાથે સંબંધિત હતી. જો કે બાદમાં અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેંજીએ 29 ઓગસ્ટે થયેલી આ સ્ટ્રાઈકને દુખદ ભૂલ ગણાવી હતી.
ગત મહિને આવેલી એક ઉચ્ચસ્તરીય આંતરીક સમીક્ષામાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે આ મામલામાં અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની જરૂર નથી, કારણ કે આમા કોઈ કાયદો તોડવામાં આવ્યો ન હતો અને બેદરકારીના કોઈ પુરાવા પણ મળ્યા નથી. ઘણાં અમેરિકન મીડિયા આઉટલેટ્સે જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને સોમવારે આ સમીક્ષાને મંજૂરી આપી છે. મહત્વપૂર્ણ છે કે આ સ્ટ્રાઈક કાબુલ એરપોર્ટની બહાર એક આત્મઘાતી હુમલાના કેટલાક દિવસ બાદ કરવામાં આવી હતી. કાબુલ એરપોર્ટની બહાર થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં 13 અમેરિકન સૈનિકો અને 170 સિવિલિયન્સ માર્યા ગયા હતા. તેના બદલાના ભાગરૂપે એરસ્ટ્રાઈક કરાય હતી. શરૂઆતમાં આઈએસ-કેના આતંકીઓ માર્યા ગયાની વાત કહેવામાં આવી હતી. પરંતુ બાદમાં 10 સિવિલિયન્સ માર્યા ગયાનું સામે આવ્યું હતું.

