સુપ્રીમ કોર્ટે ચારધામ પરિયોજનામાં સડકની પહોળાઈને લઈને કેન્દ્ર સરકારને મંજૂરી આપી છે. ચારધામ પ્રોજેક્ટમાં સડકની પહોળાઈને લઈને લાંબા સમયથી વિવાદ છેડાયેલો હતો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા અને સીમાની સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખતા ચારધામ પ્રોજેક્ટ હેઠળ સડકને પહોળી કરવાની અનુમતિ આપી દીધી છે. આ મામલામાં કેન્દ્ર સરકાર અને પર્યાવરણ પર કામ કરનારી એનજીઓ સિટિજન્સ ઓફ ગ્રીન દૂન સામસામે હતા.
ચારધામ પ્રોજેક્ટ-
ઉત્તરાખંડના ચાર મુખ્ય તીર્થસ્થાનો યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથને સડક માર્ગે જોડવાની યોજના છે. આ યોજના 12 હજાર કરોડની છે અને તેના હેઠળ સડકો પહોળી કરવાનું કામ થવાનું છે.
પહેલા આનું નામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટ હતું. પરંતુ તેનું નામ બદલીને ચારધામ પરિયોજના કરવામાં આવ્યું. તેની શરૂઆત 2016માં સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. તેના હેઠળ બે સુરંગો, 15 પુલો, 25 મોટા પુલો, 18 પ્રવાસી સેવા કેન્દ્ર અને 13 બાયપાસ વગેરેનું નિર્માણ થવાનું છે.
આના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેરાદૂના પરેડ ગ્રાઉન્ડમાં ડિસેમ્બર-2016માં ચારધામ મહામાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. 899 કિલોમીટરના આ હાઈવે પ્રોજેક્ટથી આખા ઉત્તરાખંડમાં સડકોનું નેટવર્ક વિકસિત થશે. ચીનની સાથે વધતા તણાવ વચ્ચે આ સામરિક દ્રષ્ટિએ પણ મહત્વની યોજના છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 53 યોજનાઓ પર કામ થઈ રહ્યું છે.

વિવાદ-
2018માં એક બિનસરકારી સંસ્થાએ સડક પહોળી કરવાની આ યોજનાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. એનજીઓનું કહેવું હતું કે સડક પહોળી કરવા માટે વૃક્ષો કાપવામાં આવશે. પહાડોમાં વિસ્ફોટ થશે અને કાટમાળ ફેંકવામાં આવશે. આનાથી હિમાલયની ઈકો સિસ્ટમને નુકસાન પહોંચશે. તેના કારણે ભૂસ્ખલન, પૂરનો ખતરો અને વન્ય તથા જળચર જીવોને નુકસાન થશે.

