વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ચક્રવાતી તોફાન જવાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પહેલા જવાદ તોફાનના કારણે રેલવેએ 95 ટ્રેનો રદ કરી હતી. દરમિયાન, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની આગેવાની હેઠળની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC) એ બુધવારે બંગાળની ખાડીમાં તોળાઈ રહેલા ચક્રવાતને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળને અસર કરશે તેવી શક્યતા છે.
IMD એ ઓડિશાના ગજપતિ, ગંજમ, પુરી અને જગતસિંહપુર જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. ચક્રવાતી તોફાન દરિયાકિનારે પહોંચ્યા પછી કેન્દ્રપારા, કટક, ખુર્દા, નયાગઢ, કંધમાલ માટે 4 ડિસેમ્બરનાં રોજ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેશના ટોચના અમલદારે વિવિધ કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓને “કોઈપણ પ્રકારના જાન-માલના નુકસાનને ટાળવા અને મિલકત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાકને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવા” નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કેબિનેટ સચિવે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ કે દરિયામાં રહેલા માછીમારો અને તમામ બોટોને તરત જ પાછા બોલાવી લેવામાં આવે અને ચક્રવાતી તોફાનથી અસરગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવે. ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક (IMD) એ NCMCને બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારની હાલની સ્થિતિ વિશે માહિતી આપી હતી, જે 3 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “4 ડિસેમ્બરની સવાર સુધીમાં તે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થવાની ધારણા છે અને ભારે વરસાદ સાથે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાતી તોફાન આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓને અસર કરે તેવી સંભાવના છે. આ સાથે, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ બંગાળના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ આ રાજ્યોમાં 32 ટીમો તૈનાત કરી છે અને વધારાની ટીમો રાખી છે.

