મોરબી, તા. 20 ઓગસ્ટ 2026: જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને મોરબીના દિલીપ દલસાણીયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જીવનનું 42મું રક્તદાન કર્યું હતું. યંગ ઈન્ડિયા ગ્રૂપની “લોહીમાં છે માનવતા” રક્તદાન મુહિમ અંતર્ગત રક્તદાન કરી તેમણે સમાજમાં માનવતા અને નિયમિત રક્તદાનનો સંદેશ આપ્યો હતો.
સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી કેક કાપીને અને શુભેચ્છાઓ સાથે કરવામાં આવે છે, પરંતુ દિલીપ દલસાણીયાએ પોતાના જન્મદિવસને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને અનોખી રીતે ઉજવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલું આ 42મું રક્તદાન જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. અકસ્મિક અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીઓ, પ્રસૂતિ દરમિયાન રક્તની જરૂરિયાત ધરાવતી મહિલાઓ, થેલેસેમિયાના દર્દીઓ તેમજ ગંભીર બીમારીથી સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સમયસર રક્ત ઉપલબ્ધ થવું અત્યંત મહત્વનું હોય છે. ત્યારે સ્વૈચ્છિક રક્તદાન આવા દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે.
આ પ્રસંગે રક્તદાન અંગે લોકોને જાગૃત કરતાં જણાવાયું હતું કે, “રક્તદાનથી શરીરમાં નબળાઈ આવતી નથી, પરંતુ કોઈના જીવનમાં નવી આશા જન્મે છે.” જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય શુભ પ્રસંગોને રક્તદાન જેવા સેવાકાર્ય સાથે જોડવાથી ઉજવણી વધુ અર્થપૂર્ણ બની શકે છે. યંગ ઈન્ડિયા ગ્રૂપની “લોહીમાં છે માનવતા” મુહિમનો હેતુ સમાજમાં સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે સ્વસ્થ અને પાત્ર વ્યક્તિઓને નિયમિત રક્તદાન કરી માનવતાની સાંકળને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.
“એક બોટલ રક્ત કોઈના જીવનની આશા બની શકે છે” એવા સંદેશ સાથે લોકોને પણ પોતાના શુભ પ્રસંગોને માનવસેવા સાથે જોડવા પ્રેરણા આપવામાં આવી હતી.

