રાજકોટ જિલ્લાના ગોડલ ખાતે યોજાયેલા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉપલેટાના મામલતદાર નીખિલ એસ. મહેતાને તેમની ઉત્કૃષ્ટ વહીવટી કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરી ગૌરવ આપવામાં આવ્યું હતું.
સન્માનપત્રમાં ગુજરાત સરકારના લોકાભિમુખ, પારદર્શક અને સંવેદનશીલ વહીવટને ચરિતાર્થ કરવા તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે મહેતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરવામાં આવી છે. તેમની આ કામગીરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, IAS દ્વારા નીખિલ એસ. મહેતાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સન્માનપત્રમાં ભવિષ્યમાં પણ આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.
સરકારી ફરજને માત્ર જવાબદારી નહીં પરંતુ જનસેવા તરીકે નિભાવતા મહેતાને મળેલું આ સન્માન વહીવટી ક્ષેત્રે તેમની કામગીરીની નોંધપાત્ર કદર તરીકે જોવામાં આવી રહ્યું છે.

