મોરબીના રવાપર-ઘુનડા રોડ પર સ્થિત ફ્લોરા-11 એપાર્ટમેન્ટમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે સોસાયટી પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગીતનું ગાન કરી સૌએ દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.
સ્વાતંત્ર્ય પર્વને લઈને ફ્લોરા-11ના પરિસરને તિરંગા અને દેશભક્તિની થીમથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓ, વડીલો તેમજ બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડીલોએ તિરંગાને નમન કરી નવી પેઢીને દેશની આઝાદી પાછળના સંઘર્ષ, શહીદોના બલિદાન અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજાવ્યું હતું.
ઉજવણી દરમિયાન બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર સોસાયટી પરિસર ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા તેમજ રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો.

