મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર પ્રેમજીનગર નજીક ગત તા. 6ના રોજ ટ્રકની હડફેટે આવેલા બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉં.વ. 43) પોતાનું GJ-36-AS-8758 નંબરનું બાઈક લઈને મોરબી-વાંકાનેર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પ્રેમજીનગર નજીક ટ્રક નંબર GJ-36-X-5006ના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્મતમાં મુકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના નાના ભાઈ કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી, રહે. ધરમનગર, ગાંધીગ્રામ, રાજકોટ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

