વેપારીઓનો આક્ષેપ- નોટિસ બિલ્ડરને અપાઈ, દુકાનદારોને જાણ ન કરાતા હવે રોજગાર પર સંકટ
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ, મોરબી અને હળવદ ફાયર વિભાગની સંયુક્ત ટીમે બુધવારે કોમ્પ્લેક્સની અંદાજે 200થી વધુ દુકાનોને સીલ મારતાં વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કોમ્પ્લેક્સમાં જરૂરી ફાયર સેફ્ટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અગાઉ બિલ્ડર અને સંચાલકોને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. નિયમોનું પાલન ન થતાં અંતે દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્રનું કહેવું છે.
બીજી તરફ વેપારીઓએ દાવો કર્યો છે કે તેમને વ્યક્તિગત રીતે કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. તેમના જણાવ્યા મુજબ ફાયર વિભાગ દ્વારા તમામ નોટિસ બિલ્ડરને આપવામાં આવી હતી, પરંતુ બિલ્ડરે દુકાનદારોને આ અંગે કોઈ જાણકારી આપી નહોતી. જેના કારણે વર્ષો પહેલાં દુકાનો ખરીદનાર વેપારીઓ અચાનક થયેલી કાર્યવાહીથી મુશ્કેલીમાં મુકાયા છે.
વેપારીઓનું કહેવું છે કે લાખો રૂપિયાનું રોકાણ કરીને ખરીદેલી દુકાનો સીલ થતાં તેમની રોજીરોટી પર સીધી અસર પડી છે. જો ફાયર એનઓસી અથવા અન્ય જરૂરી મંજૂરીઓમાં ખામી હતી તો તેની જવાબદારી બિલ્ડર અને ડેવલપરની પણ નક્કી થવી જોઈએ. આ મુદ્દે વેપારીઓ એકજૂથ થઈ બિલ્ડર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

