વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામમાં વાડીના શેઢા પાસે પડેલા પથ્થરને લઈને બે સગા ભાઈઓ વચ્ચે થયેલો સામાન્ય વિવાદ મારામારીમાં પરિણમ્યો હતો. આ બનાવમાં એક વૃદ્ધને ઈજા પહોંચતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, વાંકાનેરના નવી કલાવડી ગામે રહેતા સાજીભાઈ હયાતભાઈ શેરસીયા (ઉ.વ. 63)એ તેમના સગા ભાઈ હુસેનભાઈ હયાતભાઈ શેરસીયા તેમજ હલુબેન હુસેનભાઈ અને રેનિશ હુસેનભાઈ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બંને ભાઈઓની વાડીઓ એક જ શેઢે આવેલી છે. ફરિયાદીની વાડીના શેઢા નજીક કેટલાક પથ્થરો પડેલા હતા. આ પથ્થરો ત્યાંથી હટાવી લેવાનું આરોપી હુસેનભાઈએ કહેતાં ફરિયાદીએ જવાબ આપ્યો હતો કે તેમનો પુત્ર આવીને પથ્થરો લઈ જશે. આ જવાબથી આરોપીઓને મનદુઃખ થતાં બોલાચાલી ઉગ્ર બની હતી. ત્યારબાદ આરોપીઓએ પથ્થરો વડે હુમલો કરતા સાજીભાઈને ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

