HomeGujaratCentral Gujaratહવે ખેતરમાં 600 ચોરસ ફૂટ પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે, સહાય વધારી રૂ....

હવે ખેતરમાં 600 ચોરસ ફૂટ પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે, સહાય વધારી રૂ. 2 લાખ કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત-હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે.

મંત્રીએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેડૂતોને 300 ચોરસ ફૂટ સુધીના પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.1 લાખની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાને રાખીને હવે આ મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, હવેથી ખેડૂતો 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને તેના માટે મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂ.2 લાખ કરવામાં આવી છે. જો કોઈ ખેડૂત 300 થી 600 ચોરસ ફૂટ વચ્ચેના માપનું બાંધકામ કરે, તો તે ખેડૂતને પ્રતિ ચોરસ ફૂટના નિયત દરે પ્રમાણસર સહાય એટલે કે, પ્રો-રેટા મુજબ સહાય ચૂકવવામાં આવશે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે અને તેને પ્રતિકૂળ હવામાન કે અન્ય કારણોસર નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સુધારા સાથે યોજનાના વ્યાપક અમલીકરણ માટે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 અંતર્ગત રૂ. 154.36 કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી પણ સરકારે આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને મોટો લાભ થશે અને તેઓ પોતાના ખેતરમાં જ વધુ ક્ષમતાવાળા સંગ્રહ સ્થાન બનાવીને પાકનો સુરક્ષિત સંગ્રહ કરી શકશે, જેનાથી તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ મળશે, તેમ પ્રવક્તા મંત્રીએ અંતમાં ઉમેર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW