હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા મનસુખભાઈ તેજાભાઈ વડોલીયાએ આરોપી પ્રવિણભાઈ પ્રેમજીભાઈ વડદોલિયા અને પ્રભાતભાઈ વાલજીભાઈ વડદોલિયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે પાણીની લાઈન સહિયારી હોવાથી બંને પક્ષો પાણી વાપરતા હતા. બનાવના દિવસે ફરિયાદી પોતાના વારા મુજબ પાણી પાડી રહ્યા હતા, ત્યારે આરોપીઓ ત્યાં પહોંચી પોતાનો પાણીનો વારો હોવાનું કહી ઝઘડો શરૂ કર્યો હતો.
બાદમાં બોલાચાલી ઉગ્ર બની જતા આરોપીઓએ ગાળો આપી મનસુખભાઈ સાથે મારામારી કરી હતી. આરોપીઓએ લાકડાના ધોકાથી હુમલો કરતા ફરિયાદીને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત, સાથમાં રહેલી અમૃતાબેન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના માથાના ભાગે ધારદાર વસ્તુથી ઘા મારતા ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.